ભાગવતની કથા સાંભળવાથી કેવા-કેવા લોકો પવિત્ર બને છે એ જાણો, શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય – 4 | Shrimad Bhagwat Mahima

શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય – 4 – ગોકર્ણ – ઉપાખ્યાનનો પ્રારંભ । Gokarna Upakhyan In Gujarati

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો ચોથો અધ્યાય જાણીશું. જો તમારે આગળના 3 અધ્યાય વાંચવાના બાકી હોય તો અમારી વેબસાઈટ પર તમને તેના લેખ મળી જશે. ત્યાંથી તમે વાંચી શકો છો. આવો હવે ચોથો અધ્યાય શરુ કરીએ જેનું શીર્ષક છે – “ગોકર્ણ – ઉપાખ્યાનનો પ્રારંભ”

સૂતજી કહે છે – હે મુનિવર! તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રીભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા. (૧) તેમના ગળામાં વનમાળા શોભતી હતી, તેમનું શ્રીઅંગ સજળ મેઘસમું શ્યામવર્ણ હતું, એના પર મનોહર પીતાંબર સુશોભિત હતું, એમનો કટિપ્રદેશ કંદોરાની ઘૂઘરીઓથી સજાયેલો હતો, માથા પર મુગટની ચળક અને કાનોમાં કુંડળોની ઝળક જોયા જ કરીએ એવાં હતાં. (૨) ત્રિભંગલલિત ભાવથી ઊભેલા તેઓ ચિત્ત ચોરી લેતા હતા. વક્ષ:સ્થળ પર કૌસ્તુભમણિ ઝળકી રહ્યો હતો. સઘળું શ્રીઅંગ હરિ-ચંદનથી લેપાયેલું હતું. તે રૂપની શોભાનું શું કહેવું? એણે તો જાણે કરોડો કામદેવોનું રૂપમાધુર્ય છીનવી લીધું હતું. (૩) તે પરમાનંદચિન્મૂર્તિ મધુરાતિમધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તોનાં નિર્મળ ચિત્તોમાં આવિર્ભૂત થયા. (૪) ત્યાં ભગવાનના નિત્ય લોકનિવાસી લીલાપરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત-રૂપે તે કથા સાંભળવા આવ્યા હતા. (૫)

shrimad bhagwat book

પ્રભુ પ્રગટ થતાં જ ચારે કોર જય જયનો ધ્વનિ થવા લાગ્યો. તે સમયે ભક્તિરસની અદ્દભુત પુષ્ટિ થઈ. વારંવાર અબીલ-ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થતી રહી અને શંખધ્વનિ થવા લાગ્યો. (૬) તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું, ઘરનું અને આત્માનું પણ સાન-ભાન રહ્યું નહીં. તેમની આવી તન્મયતા જોઈને નારદજીએ કહ્યું – (૭) ‘હે મુનીશ્વરો! આજે મેં સપ્તાહ-શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા જોયો. અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ-પક્ષીઓ પણ છે તે સૌ અત્યંત નિષ્પાપ બન્યાં છે. (૮) તેથી, એમાં સંદેહ નથી કે આવા કલિકાળના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું, મર્ત્યલોકમાં પાપ-પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી. (૯) હે મુનિવરો! તમે સૌ ઘણા દયાળુ છો, તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે; તમે (કૃપા કરીને) એ તો બતાવો કે આ કથારૂપી સપ્તાહયજ્ઞ વડે કયા કયા લોકો પવિત્ર બની શકે છે.’ (૧૦)

સનકાદિએ કહ્યું – જેઓ હંમેશાં જાત-જાતનાં પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા, કુટિલ અને કામી છે તે બધુ જ આ કળિયુગમાં સપ્તાહયજ્ઞથી પવિત્ર બને છે. (૧૧) આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતાપિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ-યજ્ઞથી પવિત્ર બને છે. (૧૨) જેઓ મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્નીગમન અને વિશ્વાસઘાત આ પાંચ મહાપાપ કરનારા છે, છળ-કપટ કરનારા છે, ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે તે લોકો પણ કળિયુગમાં સપ્તાહયજ્ઞથી પવિત્ર બને છે. (૧૩) જે દુષ્ટો હંમેશાં હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે તેઓ પણ કળિયુગમાં સપ્તાહયજ્ઞથી પવિત્ર બને છે. (૧૪)

હે નારદજી! હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ, તે સાંભળવા માત્રથી પણ બધાં પાપો નાશ પામે છે. (૧૫) પહેલાંના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુન્દર નગર હતું. ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મોનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા. (૧૬) તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો, તે સાક્ષાત્ દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો. તે વેદ વિદ્યાવિશારદ અને શ્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો. (૧૭) તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો. તેની પ્રિય પત્ની ધુંધુલી ખાનદાન અને રૂપાળી હતી, પણ હંમેશાં પોતાની વાતને વળગી રહેનારી હતી. (૧૮) તે લોકોની વાતો કરવામાં રત રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો. મોટે ભાગે કંઈ ને કંઈ બબડયા કરતી હતી. ઘરકામમાં કુશળ હતી, પણ કંજૂસ અને કજિયાખોર હતી. (૧૯)

આમ, એ બ્રાહ્મણદંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતાં હતાં અને વિહરતાં હતાં. તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી. ઘરબાર પણ સુંદર હતું, પરંતુ તેનાથી તેઓ સુખી ન હતાં. (૨૦) જ્યારે ઉંમર ઢળતી થઈ ત્યારે તેમણે સંતાનપ્રાપ્તિ માટે જાત-જાતનાં પુણ્યકાર્યો શરૂ કર્યાં અને તેઓ દીનદુઃખીઓને ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યાં. (૨૧) આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું, તોપણ તેમને પુત્ર કે પુત્રીનું મોં જોવા ન મળ્યું. તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર હતો. (૨૨)

એક દિવસે તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો. બપોરના સમયે તેને તરસ લાગી, તેથી તે એક તળાવ પાસે ગયો. (૨૩) સંતાનના અભાવના દુઃખે તેનું શરીર સૂકવી નાખ્યું હતું, તેથી તે થાકી જવાને કારણે પાણી પીને ત્યાં જ બેસી ગયો. થોડો સમય વીત્યો અને ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા. (૨૪) જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભો રહીને નિઃશ્વાસ નાખવા લાગ્યો. (૨૫)

krishna bhagwan photo

સંન્યાસીએ પૂછ્યું – હે વિપ્ર, કહે, તું કેમ રડે છે? એવી તને શી ભારે ચિંતા છે? તું મને તારા દુ:ખનું કારણ જલદી-જલદી બતાવ. (૨૬)

બ્રાહ્મણે કહ્યું – હે મહારાજ! હું મારાં પૂર્વજન્મનાં પાપોથી સંચિત દુઃખ શું વર્ણવું? અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલિ ઊંડા નિ:શ્વાસ નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે. (૨૭) દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણત્યાગ કરવા આવ્યો છું. (૨૮) સંતાનહીન જીવનને ધિક્કાર છે, સંતાનહીન ઘરને ધિક્કાર છે! સંતાનહીન ધનને અને સંતાનહીન કુળને ધિક્કાર છે! (૨૯) હું જે ગાય પાળું છું તે વાંઝણી બની જાય છે, જે વૃક્ષ વાવું છું તેને ફૂલ-ફળ લાગતાં નથી. (૩૦) મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણાં જલદી સડી જાય છે. જ્યારે હું આવો અભાગિયો અને પુત્રહીન છું, તો આ જીવનથી મારે શું પ્રયોજન? (૩૧)

આમ કહીને તે બ્રાહ્મણ દુ:ખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ઘુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે તે યુતિ (સંન્યાસી)ના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. (૩૨) યતિ યોગનિષ્ઠ હતા. તેમણે તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક કહ્યું. (૩૩)

સંન્યાસીએ કહ્યું – હે બ્રાહ્મણ! સંતાનપ્રાપ્તિનો આ મોહ (અજ્ઞાન) છોડી દે. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને સાંસારિક વાસના ત્યજી દે. (૩૪) હે વિપ્ર! સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે કે તને સાત જન્મ સુધી કોઈ સંતાન કોઈ રીતે થવાનું નથી. (૩૫) પહેલાંના સમયે સગર રાજાએ તથા અંગ રાજાએ સંતાનને કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું. હે બ્રાહ્મણ! હવે તું કુટુંબની આશા છોડી દે. સન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે. (૩૬)

બ્રાહ્મણે કહ્યું – હે મહાત્મા! વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પણ પુત્ર આપો, નહિતર હું તમારી સામે જ શોકમૂર્ચ્છિત થઈને મારો પ્રાણ ત્યજી દઉં છું. (૩૭) જેમાં પુત્ર-પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નીરસ જ છે. આ લોકમાં સરસ તો પુત્ર-પૌત્રાદિથી હર્યો-ભર્યો ગૃહસ્થાશ્રમ જ છે. (૩૮)

બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધને કહ્યું – ‘વિધાતાનો લેખ ભૂંસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુએ ભારે કષ્ટ વેઠવું પડયું હતું. (૩૯) તેથી, જેના પ્રયત્નને દૈવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં. તેં ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે, આવી સ્થિતિમાં તને હું શું કહું?’ (૪૦)

તે બ્રાહ્મણનો દૃઢ આગ્રહ જોઈને તે સંન્યાસીજીએ તેને એક ફળ આપ્યું (અને કહ્યું) – ‘આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, તેનાથી તેને પુત્ર થશે. (૪૧) તારી પત્નીએ એક વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન, એક ટંકનું ભોજન – આ નિયમ પાળવાના રહેશે; જો તે આમ કરશે તો બાળક અતિનિર્મળ થશે. (૪૨)

આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘેર પાછો આવ્યો. આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો. (૪૩) તેની પત્ની તો કુટિલ હતી, તેણે રડતાં રડતાં પોતાની એક સખીને કહ્યું – ‘સખી! મને ભારે ચિંતા થાય છે, હું તો આ ફળ નહીં ખાઉં. (૪૪) ફળ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભને લીધે પેટ વધી જશે, પછી કંઈ ખવાશે-પિવાશે નહીં, તેથી અશક્તિ આવી જશે; તો કહે, ઘરનું કામ (મારાથી) કેમ થશે? (૪૫) અને નસીબજોગે ક્યાંક ગામ પર લુટારાઓ ચઢી આવશે ત્યારે ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે? જો શુકદેવજીની જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે? (૪૬)

અને ક્યાંક પ્રસવ-વેળાએ તે આડો થઈ જશે, તો પછી મારું મરણ જ થવાનું. આમેય પ્રસવ-ટાણે ઘણી ભયંકર પીડા થાય છે; હું સુકુમાર સ્ત્રી તે પીડા કેમ કરીને સહી શકીશ? (૪૭) હું જો દૂબળી પડી જઈશ તો નણંદ આવીને બધી માલમત્તા લઈ જશે; અને મારાથી સત્ય, શૌચ વગેરે નિયમો પાળવાનું પણ આકરું જ લાગે છે. (૪૮) જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને તે જન્મેલા બાળકના લાલનપાલનમાં ઘણું કષ્ટ પડે છે. મારું તો માનવું છે કે વાંઝણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે. (૪૯)

મનમાં આવા જાતજાતના કુતર્ક થતાં તેણે તે ફળ ખાધું નહીં. જ્યારે ‘તેં ફળ ખાધું?’ એમ તેના પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું – ‘હા, ખાઈ લીધું.’ (૫૦) દરમિયાન તેની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘેર આવી, ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું — ‘મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે. (૫૧) આ દુઃખને કારણે હું દિવસે દિવસે દૂબળી પડતી જાઉં છું. બહેન! હું શું કરું?’ બહેને કહ્યું, ‘મને ગર્ભ રહ્યો છે, તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપીશ. (૫૨) ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે. તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે. (૫૩) (આપણે એવી યોજના કરીશું) કે જેથી લોકો એમ જ કહેશે કે ‘આનું બાળક છ મહિનાનું થઈને મરી ગયું’ અને હું દરરોજ તારા ઘેર આવીને તે બાળકનું લાલન-પાલન કરતી રહીશ. (૫૪) અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે.’ બ્રાહ્મણીએ સ્ત્રી- સ્વભાવવશ, તેની બહેને જે જે કહ્યું તેવું જ કર્યું. (૫૫)

gokarna bhagwat

ત્યારપછી સમય થતાં જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે (બાળકના) પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધુંધુલીને આપી દીધો. (૫૬) તેણે (ધુંધુલીએ) પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે. આમ, આત્મદેવને પુત્ર થયો છે એ સાંભળીને સૌને ખૂબ આનંદ થયો. (૫૭) બ્રાહ્મણે તે (બાળક)ના જાતકર્મ-સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાયાં, વાજાં વાગ્યાં અને માંગલિક ક્રિયા થઈ. (૫૮) ધુંધુલીએ પોતાના પતિને કહ્યું ‘મારા થાનોમાં દૂધ નથી. વળી, ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ? (૫૯) મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે; તેને બોલાવીને આપણા ઘેર રાખીએ તો તે તમારા આ બાળકનું પોષણ કરશે.’ (૬૦) પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવે તેમ જ કર્યું.

માતા ધુંધુલીએ તે પુત્રનું નામ ધુંધુકારી પાડયું. (૬૧) ત્યારપછી ત્રણ મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ (મનુષ્યાકાર) બચ્ચાને જન્મ આપ્યો. તે (બાળક) સર્વાંગસુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવાળો હતો. (૬૨) તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેણે પોતે જ તેના બધા સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા આવ્યાં. (૬૩) તેઓ પરસ્પર કહેતાં હતાં કે ‘જુઓ, આ આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે! કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્યરૂપનો બાળક જન્મ્યો છે! (૬૪) નસીબજોગે આ ગૂઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. તે બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ‘ગોકર્ણ’ રાખ્યું. (૬૫)

કેટલોક સમય વીતતાં તે બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. (૬૬) ધુંધુકારી સ્નાન-શૌચના આચરણ-રહિતનો હતો, ખાવા-પીવામાં પણ કોઈ નિયમ ન હતો, વધુ ક્રોધી હતો, ખરાબ વસ્તુઓ સંઘરતો હતો અને મડદાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરતો હતો. (૬૭) ચોરી કરવી, બધાં લોકોનો દ્વેષ કરવો એ એનો સ્વભાવ હતો. છાનાંમાનાં બીજાઓનાં ઘર બાળતો હતો. બીજાઓનાં બાળકોને રમાડવા ખોળામાં લેતો અને તરત કૂવામાં નાખી દેતો હતો. (૬૮) તે હિંસક હતો, શસ્ત્રો ધારણ કરતો હતો અને આંધળા તથા ગરીબ લોકોને ખૂબ પીડતો હતો. ચાંડાળો પ્રત્યે અનુરાગ કરતો હતો. બસ, હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો રહેતો હતો. (૬૯) તેણે વેશ્યાઓના કુસંગને કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી માર્યું. એક દિવસે તે માતા-પિતાને માર મારીને ઘરનાં બધાં વાસણ ઉઠાવી ગયો. (૭૦)

આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેનો પિતા આક્રંદ કરવા લાગ્યો – ‘આના કરતાં તો આની મા વાંઝણી રહી હોત તો સારું હતું. કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે. (૭૧) હવે હું ક્યાં રહું? ક્યાં જાઉં? મારું આ કષ્ટ કોણ કાપશે? અરેરે! મારા ઉપર તો મોટી આફત આવી પડી છે. આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે.’ (૭૨) તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. (૭૩) તેમણે કહ્યું – ‘પિતાજી! આ સંસાર અસાર છે, એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર? ને કોનું ધન? સ્નેહ રાખનાર મનુષ્ય રાત-દિવસ દીપકની જેમ બળતો રહે છે. (૭૪) સુખ નથી તો ઈન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને પણ; સુખ તો છે માત્ર વિરક્ત, એકાંતજીવી મુનિને. (૭૫) ‘આ મારો પુત્ર છે’ આ અજ્ઞાન (મોહ) છોડી દો. મોહથી નરક મળે છે. આ શરીર તો નાશ પામવાનું જ છે, તેથી સર્વ કાંઈ છોડીને વનમાં જાઓ.’ (૭૬)

ગોકર્ણજીનાં વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજીને કહ્યું — ‘બેટા! વનમાં રહીને મારે શું કરવું જોઈએ, એ મને વિસ્તારપૂર્વક કહે. (૭૭) હું મહામૂર્ખ છું, આજ સુધી કર્મવશાત્ સ્નેહ-પાશમાં બંધાયેલો, અપંગની જેમ, આ ઘરરૂપી અંધારા કૂવામાં જ પડયો રહ્યો. તું ઘણો દયાળુ છે, તો મારો ઉદ્ધાર કર.’ (૭૮)

ગોકર્ણે કહ્યું – ‘પિતાજી! આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે; તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની-પુત્રને ક્યારેય ‘પોતાનાં’ ન માનો. આ સંસારને અહર્નિશ ક્ષણભંગુર જુઓ, એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. બસ, એકમાત્ર વૈરાગ્યરસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો. (૭૯) ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રયે રહો, અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોં ફેરવી લો, હંમેશાં સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ-દોષોનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો.’ (૮૦)

પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. જોકે એ સમયે તેમની ઉંમર સાઠ વર્ષની થઈ ચૂકી હતી, તોપણ બુદ્ધિમાં પૂરી દૃઢતા હતી. ત્યાં વનમાં રાતદિવસ ભગવાનની સેવા-પૂજા કરવાથી અને ભાગવતના દશમા સ્કંધનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કર્યા. (૮૧)

મિત્રો, અહીં શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો ચોથો અધ્યાય સમાપ્ત થાય છે. પાંચમો અધ્યાય આપણે આગળના ભાગમાં જાણીશું. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અધ્યાય ૪ નો વિડીયો નીચે જોવા મળશે.

જય શ્રીકૃષ્ણ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top