આ રીતે કરશો ભીમ એકાદશીનું વ્રત તો પરિવારની 200 પેઢીનો ઉદ્ધાર થશે । Bhim Ekadashi 2025

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે જેઠ માસના શુક્લપક્ષમાં આવતી ભીમ એકાદશીની વ્રતકથા અને તેનું માહાત્મ્ય જાણવાના છીએ, તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

યુધિષ્ઠિરે કહ્યું — જનાર્દન! જેઠના શુક્લપક્ષમાં જે એકાદશી હોય તેનું વર્ણન કરશો.

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજન! આનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતીનંદન વ્યાસજી કરશે; કેમ કે તેઓ સઘળાં શાસ્ત્રોના તત્ત્વજ્ઞ અને વેદ-વેદાંગોના પારંગત વિદ્વાન છે.

ત્યારે વેદવ્યાસજી કહેવા લાગ્યા — બંનેય પક્ષોની એકાદશીઓએ ભોજન નહિ કરવું. દ્વાદશીએ સ્નાન વગેરેથી પવિત્ર થઈ ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરીને નિત્યકર્મ સમાપ્ત થયા પછી પહેલાં બ્રાહ્મણોને ભોજન આપીને છેવટે પોતે ભોજન કરવું. રાજન્! જનનાશૌચ અને મરણાશૌચમાં પણ એકાદશીએ ભોજન નહિ કરવું જોઈએ.

આ સાંભળી ભીમસેન બોલ્યા — પરમ બુદ્ધિમાન પિતામહ! મારી ઉત્તમ વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુળ અને સહદેવ — આ બધા એકાદશીએ કદી ભોજન નથી કરતા તથા મને પણ કાયમ એ જ કહે છે કે ‘ભીમસેન! તું પણ એકાદશીએ ખાધા ન કરો.’ પરંતુ હું આ લોકોને એજ કહી દીધા કરું છું કે ‘મારાથી ભૂખ સહન નહિ થાય’.

ભીમસેનની વાત સાંભળી વ્યાસજીએ કહ્યું — જો તને સ્વર્ગલોકની પ્રાપ્તિ પ્રિય છે અને નરકને દૂષિત સમજે છે તો બંને પક્ષોની એકાદશીએ ભોજન ન કરવું.

bhim mahabharat
bhim in mahabharat

ભીમસેન બોલ્યા — મહાબુદ્ધિમાન પિતામહ! હું આપની સામે સાચી વાત કહું છું, એક વાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી થઈ શકતું. પછી ઉપવાસ કરીને તો હું રહી જ કેવી રીતે શકું? મારા પેટમાં વૃક નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે; તેથી જ્યારે હું ઘણું વધારે ખાઉં છું, ત્યારે જ આ શાંત થાય છે.

એટલા માટે મહામુને! હું વર્ષમાં માત્ર એક જ ઉપવાસ કરી શકું છું; જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ સુલભ થાય તથા જેના કરવાથી હું કલ્યાણનો ભાગીદાર થઈ શકું, એવું કોઈ વ્રત નિશ્ચય કરીને બતાવશો. હું તેનું યથોચિતરૂપે પાલન કરીશ.

વ્યાસજીએ કહ્યું — ભીમ! જેઠ માસમાં સૂર્ય વૃષ રાશિ પર હોય અથવા મિથુન રાશિ પર હોય; શુક્લપક્ષમાં જે એકાદશી હોય, તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરો. માત્ર કોગળો કે આચમન કરવાને માટે મોંમાં જળ નાખી શકો છો, તેના સિવાય બીજી કોઈ રીતે જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું, નહિ તો વ્રત ભાંગી જાય છે. એકાદશીએ સૂર્યોદયથી લઈ બીજા દિવસે સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. તે પછી દ્વાદશીએ નિર્મળ પ્રભાતકાળે સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ રીતે બધાં કાર્ય પૂરાં કરીને જિતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણોની સાથે ભોજન કરવું.

વર્ષભરમાં જેટલી એકાદશીઓ હોય છે, તે બધાનું ફળ નિર્જળા એકાદશીના સેવનથી મનુષ્ય પ્રાપ્ત કરી લે છે; આમાં જરા પણ શંકા નથી. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું હતું કે ‘જો માનવી બધાને છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે તો તે સર્વ પાપોથી છૂટી જાય છે.’

એકાદશી વ્રત કરનારા પુરુષની પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિ અને કાળા રંગવાળા દંડ-પાશધારી ભયંકર યમદૂત નથી જતા. અંતકાળે પીતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મનના જેવા વેગવાળા વિષ્ણુદૂત આવીને આ વૈષ્ણવ પુરુષને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે. તેથી નિર્જળા એકાદશીએ પૂરો પ્રયત્ન કરીને ઉપવાસ કરવો જોઈએ. તું પણ બધાં પાપોની શાંતિને માટે પ્રયત્નની સાથે ઉપવાસ અને શ્રીહરિનું પૂજન કર.

સ્ત્રી હોય કે પુરુષ, જો તેણે મેરુ પર્વતના બરાબર મહાન પાપ કર્યું હોય તો તે બધી એકાદશીના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય તે દિવસે જળના નિયમનું પાલન કરે છે, તે પુણ્યનો ભાગીદાર થાય છે, તેને એક-એક પહોરમાં કોટિ-કોટિ સુવર્ણમુદ્રા દાન કરવાનું ફળ પ્રાપ્ત થતું સાંભળવામાં આવ્યું છે. મનુષ્ય નિર્જળા એકાદશીએ સ્નાન, દાન, જપ, હોમ વગેરે જે કંઈ પણ કરે છે, તે બધું અક્ષય થાય છે, આ ભગવાન શ્રીકૃષ્ણનું કથન છે.

નિર્જળા એકાદશીએ વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરીને માનવ વૈષ્ણવ પદને પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે, તે પાપ ભોજન કરે છે. આ લોકમાં તે ચંડાળના જેવો છે અને મરવાથી દુર્ગતિને પામે છે.

જેઓ જેઠના શુક્લપક્ષમાં એકાદશીએ ઉપવાસ કરીને દાન આપશે તેઓ પરમપદને પામશે. જેમણે એકાદશીએ ઉપવાસ કર્યો છે, તેઓ બ્રહ્મહત્યારા, શરાબી, ચોર તથા ગુરુદ્રોહી હોવા છતાં પણ બધાં પાપોથી મુક્ત થઈ જાય છે. કુંતીનંદન! નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષોને માટે જે વિશેષ દાન અને કર્તવ્ય વિહિત છે, તેને સાંભળો —

તે દિવસે જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને જળમયી ધેનુનું દાન કરવું જોઈએ અથવા પ્રત્યક્ષ ધેનુ યા ધૃતમયી ધેનુનું દાન ઉચિત છે. પૂરતી દક્ષિણા અને ભાત-ભાતનાં મિષ્ટાન્નો દ્વારા યત્નપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ. આમ કરવાથી બ્રાહ્મણ જરૂર સંતુષ્ટ થાય છે અને તેમના સંતુષ્ટ થવાથી શ્રીહરિ મોક્ષ પ્રદાન કરે છે. જેમણે શમ, દમ અને દાનમાં પ્રવૃત્ત થઈ શ્રીહરિની પૂજા અને રાત્રે જાગરણ કરતા રહીને આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે, તેમણે પોતાની સાથે જ વીતી ગયેલી સો પેઢીઓ અને આવનારી સો પેઢીઓને ભગવાન વાસુદેવના પરમ ધામમાં પહોંચાડી દીધી છે.

નિર્જળા એકાદશીના દિવસે અન્ન, વસ્ત્ર, ગાય, જળ, શય્યા, સુંદર આસન, કમંડળ તથા છત્રી દાન કરવાં જોઈએ. જે શ્રેષ્ઠ તથા સુપાત્ર બ્રાહ્મણને જોડા દાન કરે છે, તે સોનાના વિમાન પર બેસી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે આ એકાદશીના મહિમાને ભક્તિપૂર્વક સાંભળે તથા જે ભક્તિપૂર્વક તેનું વર્ણન કરે છે, તે બંને સ્વર્ગલોકમાં જાય છે. ચતુર્દશીયુક્ત અમાવાસ્યાએ સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે, તે જ આના શ્રવણથી પણ પ્રાપ્ત થાય છે.

પહેલાં દંતધાવન કરીને આ નિયમ લેવો જોઈએ કે ‘હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે એકાદશીએ નિરાહાર રહીને આચમનના સિવાય બીજા જળનો પણ ત્યાગ કરીશ.’ દ્વાદશીએ દેવદેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ગંધ, ધૂપ, પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો સંકલ્પ કરતા રહીને નીચે જણાવેલ મંત્રનું ઉચ્ચારણ કરવું.

દેવદેવ હૃષીકેશ સંસારાર્ણવતારક ।

ઉદકુમ્ભપ્રદાનેન નય માં પરમાં ગતિમ્ ॥ (૫૩ | ૬૦)

આ મંત્રનો અર્થ આ મુજબ છે – ‘સંસારસાગરથી તારનારા દેવદેવ હૃષીકેશ! આ જળના ઘડાનું દાન કરવાથી આપ મને પરમગતિની પ્રાપ્તિ કરાવજો.’

ભીમસેન! જેઠ માસમાં શુક્લપક્ષની જે શુભ એકાદશી હોય છે, તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ તથા તે દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણોને સાકરની સાથે જળના ઘડાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુની પાસે પહોંચીને આનંદનો અનુભવ કરે છે. તે પછી દ્વાદશીએ બ્રાહ્મણભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું. જે આ રીતે પૂર્ણરૂપે પાપનાશિની એકાદશીનું વ્રત કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ અનામય પદને પામે છે.

આ સાંભળી ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત શરૂ કરી દીધું. ત્યારથી આ લોકમાં આ એકાદશી ‘ભીમ એકાદશી’ના નામથી વિખ્યાત થઈ.

મિત્રો, અહીં ભીમ એકાદશીનું માહાત્મ્ય સમાપ્ત થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો.

Bhim Ekadashi Mahima, Bhim Agiyaras, bhim ekadashi nu vrat, bhim ekadashi vrat katha in gujarati, bhim ekadashi nu fal, bhim ekadashi vrat vidhi in gujarati

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top