શા માટે સંત નામદેવના ગુરુએ શિવલિંગ પર મુક્યો પગ? જાણો તેનું સંપૂર્ણ રહસ્ય

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે સંત નામદેવ વિશે વિશેષ માહિતી મેળવીશું. તો લેખને અંત સુધી વાંચવા વિનંતી.

પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અમર છે. સંતોનું મરણ થતું નથી. સંતોને જગત ભૂલી શકે નહિ. તુકારામ મહારાજ અને તુલસીદાસ મહારાજને જગત કોઈ દિવસ ભૂલી શકે નહિ.

જગત કાળને આધીન છે, કાળ ભગવાનને આધીન છે. કાળ ભગવાનનો નોકર છે. જીવે જીવનમાં કરેલાં કામનો હિસાબ જોવાની ઈચ્છા ભગવાનને થાય છે, ત્યારે ભગવાન કાળને જીવ પાસે જવાનો હુકમ કરે છે. પરમાત્માને હિસાબ આપવાનો પવિત્ર દિવસ તે મરણ. જે જીવનો હિસાબ ગોટાળાવાળો હોય તેને ભય લાગે છે.

અંતકાળમાં જીવ દુ:ખી થાય છે. પ્રભુએ આંખ દર્શન કરવા આપી છે. આંખ કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, જગત જોવા નહી, આંખ પરમાત્મ દર્શન કરવા આપી છે. માનવ આંખ, મનથી શક્તિનો વિનાશ કરે છે તેથી અંતકાળે તે બહુ દુ:ખી થાય છે.

પરમાત્માએ જે આપ્યું તેનો સદુપયોગ તે પુણ્ય અને દુરુપયોગ તે પાપ. વ્યવહારનું કામ વિવેકથી કરતાં જીવનનું લક્ષ્ય ભોગ નહિ, ભગવાન છે.

પ્રભુએ માનવને બે આંખ શા માટે આપી? એક આંખથી જગત જોવાનું, બીજી આંખ પ્રભુમાં રાખવાની. જગતમાં રહેવાનું, જગતના વ્યવહાર કરવાનાં, પણ એક આંખ પ્રભુમાં રાખવાની.

સંત સર્વકાળ ભક્તિ કરે છે, તેથી કાળ તેમને મારી ન શકે. જે કામને આધીન છે તેને કાળ મારે છે. જે ભક્તિની સમાપ્તિ કરે છે તેને કામ મારે છે. સંતો સર્વકાળ ભક્તિ કરે છે તેથી સંતો અમર છે.

આ પૃથ્વી પર જેટલા સંતો-મહાત્માઓ થઈ ગયા, તે આજે વાયુ મંડળમાં ફરે છે. તે સત્શિષ્યોને શોધે છે. સંતનો ઉપદેશ ગ્રહણ કરવા લાયક થવાની જરૂર છે.

માનવને જયારે પરમાત્મ દર્શનની ભૂખ જાગે ત્યારે પ્રથમ સંતદર્શન થાય છે. વર્તમાનમાં માનવનું મન, જીવન એટલું બગડયું છે કે માનવને સંસારમાં મજા આવે છે, આજનું જીવન ખાવું, પીવું, મજા કરવામાં પુરું થાય છે, જીવને સંસાર બહુ મીઠો લાગે છે. માનવને સંસારસુખમાં જયાં સુધી ઘૃણા નથી આવતી ત્યાં સુધી તેને પ્રભુ દર્શનની ઈચ્છા થતી નથી.

જીવને પ્રભુદર્શનની તીવ્ર ઈચ્છા થાય ત્યારે સદ્દગુરુ કૃપા કરીને દર્શન કરાવે છે. ભગવાન સર્વકાળ, સર્વમાં સાથે જ છે. ભગવાન જ સદ્દગુરુ રૂપે આવે છે. સદ્દગુરુ અને પરમાત્મતત્ત્વ એક જ છે.

ઘુવડને સૂર્યનારાયણના દર્શન થતા નથી, તેમાં તેની આંખનો દોષ છે, તેવું જ આપણું છે. સદ્દગુરુદેવનાં દર્શન માટે લાયક બનો.

જગતમાં સત્શિષ્ય દુર્લભ છે. ‘સત્’ એટલે પરમાત્મા. પરમાત્મ દર્શનની તીવ્ર ઈચ્છા જેને હોય તે ‘સંત’. આવા સંતના દર્શનની ઈચ્છા જે કરે તે સત્શિષ્ય.

જે ક્ષણેક્ષણે કાળના-મૃત્યુનાં મુખમાં જાય છે તે સંસાર. સંસાર અનિત્ય છે, સંસારનું સુખ નિત્ય નથી. સંસારસાગર પાર કરવા સદ્દગુરુદેવનાં દર્શનની ઈચ્છા કરો.

સંતકૃપા, ગુરુકૃપાથી ભગવાનની પ્રાપ્તિ થાય તે કાયમ રહે છે. તુકારામ મહારાજના જન્મ પહેલાં એક સંતે શરીર છોડ્યું. બાદમાં સ્વપ્નમાં તુકારામને સંતદર્શન થયાં. સંતકૃપાથી ભગવાન મળે તો કાયમ રહે છે.

ગુરુકૃપા વિના જ્ઞાન ટકતું નથી. સમજણ, જ્ઞાન બધામાં છે, પણ તે ટક્તાં નથી. ઘણા કથામાં લોકભયથી શાંતિ જાળવે છે, જ્ઞાનમાં સ્થિર રહે છે, પણ ઘેર ગયા પછી જ્ઞાન ટકતું નથી. કેટલાક ઘરમાં શાંતજ્ઞાની હોય છે પણ દરવાજો બંધ કર્યા પછી એકાંતમાં રહે છે ત્યારે તેમનું જ્ઞાન ટકતું નથી.

પરમાત્મા સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ છે. સદ્દગુરુદેવથી જ્ઞાન, પરમાત્મા મળે તો તે કાયમ ટકે છે. જે પ્રયત્નથી, પુસ્કતો વાંચી જ્ઞાન મેળવે છે, તેનું જ્ઞાન કાયમ ટકતું નથી.

તુકારામ વિઠ્ઠલનાથજીની પ્રાર્થના કરે છે. તેમને સંતની પરીક્ષા કરવી છે.

સંતની પરીક્ષા કરશો નહિ. રાખ ભલે બુઝાયેલ દેખાય પણ દઝાડશે. તુકારામ વિઠ્ઠલનાથજીને પ્રાર્થના કરે છે, “આપ કૃપા કરીને મને સંતદર્શન કરાવો.” તુકારામજીને સ્વપ્નમાં સદ્દગુરુનાં દર્શન થાય. તુકારામજી સ્વપ્નમાં ગંગાકિનારે છે, ગંગાસ્નાન કર્યું છે, કિનારે બેઠા છે અને ત્યાં તેમને ગુરુદર્શન થયા. ભગવાનની પ્રેરણાથી ગુરુદેવ તુકારામને અપનાવે છે. તુકારામને ઉપદેશ આપે છે.

સદ્દગુરુના ઉપદેશ પછી તુકારામ ગુરુજીને દક્ષિણા માગવાનું કહે છે. ગુરુદેવ, “દેહાભિમાન મારવાની દક્ષિણા માગે છે. આજથી તું પુરુષ નથી, તું સ્ત્રી નથી. આજથી તું પરમાત્માનો અંશ છે.” આ દ્રઢભાવ કરવાનું કહે છે.

તુલસીદાસજીએ કહ્યું, ‘સિયારામમય સબ જગ જાની.’ જગત રામમય છે. જગત ભગવાનને છોડીને રહી શકે નહિ. દુઃખ આપનાર દેહાભિમાન છે. “હે માનવ ! તું સ્ત્રી, પુરુષ નથી, તું શરીર નથી, શરીરનું સુખ નથી. શરીર એ માટીનું પૂતળું માટીમાં મળી જશે.” ગુરુદેવે દક્ષિણામાં તેનું દેહાભિમાન માંગી લીધું. ભગવાનનો તું અંશ છે એમ કહી, સ્વપ્નમાં મંત્ર આપ્યો.

આ ત્રણ નામ શ્રેષ્ઠ છે. રામનામ, કૃષ્ણનામ અને હરિનામ, ‘હરતિ ઈતિ હરિ’ હરિનામ જપવાથી પાપનો નાશ થાય છે. જે કોઈ પ્રેમથી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલે તેના મનનું શ્રી કૃષ્ણ આકર્ષણ કરે છે.

આ સંસારમાં જીવને શાંતિ નથી, છતાં તેને સંસાર છોડવાની ઈચ્છા થતી નથી. સંસારમાં તેનું મન ફસાયેલું છે. મન પૈસામાં, સ્ત્રીમાં ફસાયેલું છે તેથી સંસાર મીઠો લાગે છે. ‘શ્રી કૃષ્ણ’ નામ લઈ પ્રાર્થના કરો, “પ્રભુ ! આપ મારા મનનું આકર્ષણ કરો તો પાપ છૂટશે.”

સંસારમાં પાપ કરીને જીવ દુઃખી થયો છે. સંસારમાં એવી મીઠાશ છે કે ‘હું મનથી જુદો છું એમ બધાં જાણે છે, છતાં માનવ ‘મારું મન’ એમ બોલે છે.’

પાપ કરવાની બધાંની ઈચ્છા નથી, છતાં પાપ થાય છે. ભગવાન નિર્દોષ છે, સર્વશક્તિમાન છે, ભગવાનના સદ્દગુણોમાં સૌંદર્યમાં આંખ આકર્ષાય, ભગવાન જેના મનનું આકર્ષણ કરે છે તેને પાપ કરતો અટકાવે છે. તેના મનમાંથી પાપ દૂર કરે છે. ભગવાન જેના મનને ખેંચે છે, તેનાં પાપ છૂટે છે. કૃષ્ણ કૃષ્ણ બોલો તો ભગવાન મનનું આકર્ષણ કરશે. રામ, કૃષ્ણ, શિવ આ એકજ ભગવાનનાં જુદા જુદા નામ છે.

કોઈપણ સંતને માનો એટલે કોઈ સંતને મનમાં, આંખમાં રાખો. સંસાર ગાડરિયા પ્રવાહ જેવો છે. આગળનું ઘેટું ખાડામાં પડયું, તો પાછળનાં બધાં ખાડામાં પડશે, માનવનું પણ આવું છે. જેમને પોતાનો ઉધ્ધાર કરવો છે તેમણે સંતને મનમાં રાખવા.

જેમણે વાસનાનો વિનાશ કર્યો છે, જેમને ભગવાનનો આનંદ મળ્યો છે એવા સંતનો આશ્રય લો. સંત દ્વારા ભગવાન મળે છે.

અષાઢ માસમાં પંઢરપુરમાં વિઠોબાનાં દર્શન કરવા સંતોની ભીડ લાગે. આ સંતોમાં ભક્ત ગોરાકુંભાર વયોવૃધ્ધ સંત. સહુ તેમને ‘ગોરાકાકા’ સંબોધન કરતાં. કુંભાર માટીનાં વાસણ બનાવે, એટલે તેમને તે વાસણ કાચાં છે કે પાકાં તેની પરીક્ષા કરવાની ટેવ. ઠેરઠેરથી સંતો પધાર્યા છે. મુક્તાભાઈએ ગોરાકુંભારને સંતપરીક્ષા કરવા કહ્યું. ગોરાકુંભાર સંતપરીક્ષા કરે છે. દરેકના મસ્તકે ટકોરા મારે છે. સંત હાંડી કાચી છે કે પાકી તેની પરીક્ષા કરે છે.

જેમને જીવનમાં સુખ-દુઃખ અને માન-અપમાનની અસર થતી નથી તેમને ભગવાનની પ્રાપ્તિ થાય છે.

સંત નામદેવની ઉંમર નાની છે. તેમની ભક્તિ એવી તીવ્ર છે કે તે વિઠોબા સાથે વાતો કરે છે. નામદેવને ગોરાકુંભારની પરીક્ષા ગમી નહિ. સંત પરીક્ષા કરતાં નામદેવનો વારો આવ્યો, ટકોરો મારી નામદેવ માટે ‘કાચી હાંડી’ એમ કહ્યું.

નામદેવ વિઠ્ઠલનાથજી પાસે જઈને ફરિયાદ કરે છે. વિઠ્ઠલનાથજી જવાબમાં કહે છે, ‘નામદેવ ! તને મારા દર્શન થાય છે, પણ સદ્દગુરુનાં દર્શન થયા નથી.’ સદ્દગુરુદેવની કૃપા વડે પરમાત્મા મળે છે. ગુરુ અતિ ઉદાર હોય છે, જીવનનો અનુભવ સત્શિષ્યને થોડા સમયમાં આપી દે છે. વિઠ્ઠલનાથજીએ નામદેવને ગુરુ કરવા કહ્યું. પંઢરપુરમાં એક વયોવૃધ્ધ સંત નિવાસ કરતા. આ સંત સદા આત્મસ્વરૂપમાં મગ્ન રહેતા.

જે ભગવાન વૈકુંઠમાં છે તે જગતના પશુ-પંખી, સંસારના પ્રત્યેક પદાર્થમાં છે તેવો અનુભવ કરો. આવો અનુભવ કરનાર જીવને પ્રભુનાં દર્શન પોતાની અંદર થશે.

મંદિરમાં પ્રભુદર્શન થાય તે સાધારણ દર્શન છે, જગત આખામાં જેને પ્રભુ દર્શન થાય તે અસાધારણ દર્શન છે. કોઈનો દેહ જોશો નહિ, જે દેહને જુએ છે તે દેવથી બહુ દૂર જાય છે. મળમૂત્રથી ભરેલા દેહને ન જોશો, દેહની શોભા અંદર બિરાજેલ દેવથી છે.

સૃષ્ટિને નહિ દ્રષ્ટિને સુધારો. આંખ, મન અને સ્વભાવને સુધારો. દેહભાવ દુઃખ આપે છે, જગતને દેવભાવથી જુઓ. જગતના સ્ત્રી-પુરુષમાં સીતા-રામનાં દર્શન તુલસીદાજીની જેમ કરો.

સંતકૃપા થાય તો જગતના જડ-ચેતન પદાર્થોમાં પ્રભુદર્શન થાય છે અને પોતાનામાં પ્રભુદર્શન થાય છે. આત્મામાં પ્રભુદર્શન, બ્રહ્માનુભવ જેને થાય છે તે જગત સર્વમાં પ્રભુનો અનુભવ કરે છે.

વિઠ્ઠલનાથજીએ નામદેવજીને કહ્યું કે મંદિરમાં જેમ ભગવદ્ દર્શન કરો છો તેમ સર્વમાં ભગવાનનાં દર્શન કરો. નામદેવજી ગુરુની શોધમાં નીકળ્યા છે. વિઠોબા ખેચર તેમના ગુરુ થયા છે. નામદેવ જુએ છે તો તે શિવલિંગ પર પગ મૂકીને સૂતા છે. નામદેવને આશ્ચર્ય થયું. તેમણે નામદેવની પૃચ્છા પર કહ્યું છે કે, “મારા પગ એવી જગ્યાએ મૂકો જ્યાં શિવલિંગ ન હોય.” જ્યાં નામદેવ તેમના ચરણ ઉઠાવી મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય છે. તેમણે નામદેવને કહ્યું, “સર્વત્ર શિવ છે, સર્વત્ર વિઠ્ઠલનાથજી છે. જગત શિવરૂપ છે. જગતને જોવાથી લાભ નથી, પ્રભુને સર્વત્ર જુઓ. પ્રભુ સર્વમાં મળેલા છે.”

સદ્દગુરુની નામદેવ પર કૃપા થાય છે. હવે નામદેવને સર્વમાં ઈશ્વરના દર્શન થાય છે. ભગવાનને નામદેવ ભાખરીનો ભોગ ધરાવે છે. કૂતરો ભાખરી લઈ જાય છે. નામદેવને કૂતરામાં પણ પ્રભુદર્શન થાય છે.

જ્ઞાન-ભક્તિ અતિશય વધે ત્યારે સર્વત્ર પરમાત્માનાં દર્શન થાય છે. વૃક્ષ પરનું ફળ પરિપક્વ થયા પછી તે ઝાડને છોડી દે છે. આ સંસારવૃક્ષ છે, એમાં જ્ઞાનભક્તિ પરિપૂર્ણ થાય તો પરમાત્મ દર્શન થાય છે.

સર્વમાં ભગવદ્ દર્શન ભલે ન થાય, સર્વમાં ભગવાન છે એવી ભાવના કરો. મંદિરમાંની મૂર્તિમાં ભગવાનની ભાવના કરીએ છીએ તો માનવમાં ભગવાન છે એવી ભાવના કેમ ન કરવી?

માનવ, માનવને જુએ ત્યારે કામવિકારની ભાવના ત્યાગે, એ સ્ત્રી-પુરુષ છે એ ભાવના છોડે, પોતાનામાં તેમ સામેનામાં ભગવાન બિરાજે છે, તેવી ભાવના કરે તો પરસ્પરમાં ભગવદ્ દર્શન કરી શકે.

જે જગતને ભગવદ્ દર્શનથી જુએ છે તેનું મન શાંત, પવિત્ર બને છે. આપણે પ્રાતઃકાલે પ્રથમ ઉઠતાં પૃથ્વીવંદના કરીએ છીએ. પૃથ્વીમાં “માતા”ની ભાવના કરીએ છીએ. જડમાં ચેતનનની ભાવના કરીએ છીએ. આવો સર્વત્ર ભગવદ્ભાવ થાય તો એક દિવસ આપણને આપણામાં-આત્મસ્વરૂપનાં પ્રભુદર્શન થશે. સંત જગતમાં રહી, જગતને ભગવદ્ભાવથી જુએ છે. આપણે પણ સર્વમાં ભગવદ્ભાવના રાખીએ.

મિત્રો, આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે, તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top