જ્યારે હનુમાનજીને ભગવાન રામની સેવા કરવા ન મળી ત્યારે જે થયું તે જાણવા જેવું છે, જાણો સંયમની મૂર્તિ હનુમાનની કથા

મિત્રો, આજે અમે તમારા માટે એક વિશેષ લેખ લઈને આવ્યા છીએ, આ લેખ સંયમની મૂર્તિ હનુમાનજી વિષે છે. આવો કથા શરૂ કરીએ.

ભક્ત નાભાજી હનુમાનજીની કથા કહે છે. હનુમાનજીની અનેક કથાઓ છે. ચૈત્ર સુદ પૂર્ણિમાએ સૂર્યોદય સમયે હનુમાનજીનું પ્રાગટય થયું છે. હનુમાનજીના પ્રાગટયની કથા પુરાણોમાં છે. ક્યાંક કાળી ચૌદશના દિવસે પ્રાગટય વર્ણવ્યું છે.

પાપ અભિમાન વગર થતું નથી. કૈકયીને સૌંદર્યનું અભિમાન છે. કૈક્યીને રાણીઓ વચ્ચે વહેંચાયેલો પ્રસાદ પાછળથી આપ્યો તે તેને ગમ્યું નહિ. કૈકયી ક્રોધે ભરાઈ. ક્રોધમાં દશરથ રાજાનું તેણે અપમાન કર્યું. જે સ્ત્રી પતિ સામે ક્રોધ કરે તેના પુણ્યનો નાશ થાય છે. પત્નીએ પતિમાં નારાયણના દર્શન કરવાં. પતિએ પત્નીમાં લક્ષ્મીના દર્શન કરવાં. કૈકયીએ ક્રોધમાં દશરથ રાજાને કર્કશ વાણી કહી.

કૈકયી ક્રોધાવેશમાં છે તે સમયે ઊડતી ઊડતી સમડી આવે છે. સમડીએ કૈકયીનો પ્રસાદ ઉપાડયો. સમડી જયાં ‘અંજની’ મા જપ કરે છે ત્યાં ઊડતી ગઈ. ‘અંજની મા’ ના હાથમાં સમડીએ પ્રસાદ મૂકયો. અંજની તેને શિવપ્રસાદી છે તેમ માની આરોગે છે. એ પ્રસાદના ફળરૂપે અંજની માને ત્યાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાનજી પ્રગટયા. હનુમાનજી લંગોટી સાથે પ્રગટ થયા છે. હનુમાનજીની લંગોટી સુર્વણસમાન ચમકતી છે. હનુમાનજી જન્મથી બળવાન છે.

એકવાર હનુમાનજી નાના હતા ત્યારે તેમને ભૂખ લાગી, સૂર્યોદય થયો હતો. સૂર્યને લાલ ફળ સમજી કૂદકો માર્યો, ફળ ખાવા કૂદયા. હનુમાનની આ બાલક્રીડા જોઈ દેવોએ જોયું કે આ બાળક તો જન્મથી બળવાન છે.

હનુમાનજીનું બાળપણ રમતમાં જાય છે. મોટા થયા ત્યાં રમતમાં પુત્રને જોઈ માને ચિંતા થઈ. માએ હનુમાનજીને સૂર્યનારાયણ પાસે જઈ વિદ્યા ગ્રહણ કરવા કહ્યું.

વિદ્યા માટે માની આજ્ઞા થતાં હનુમાનજીએ કૂદકો માર્યો, પહોંચ્યા સીધા સૂર્યનારાયણના રથ પર. હનુમાનજીએ સીધું જ કહ્યું, ‘મારી મા એ તમારી પાસે મને ભણવા મોકલ્યો છે.’ સૂર્યનારાયણે જોયું, આ હનુમાન તો બહુ બળવાન છે ક્યાંક રથ તોડી નાખશે.

સૂર્યનારાયણે કહ્યું, ‘મારે આખો દિવસ ફરવાનું હોય છે તેથી સમય બચતો નથી.’

હનુમાનજીએ કહ્યું, ‘તમે વિદ્યા એકવાર ભણાવો હું નહિ ભૂલું’

હનુમાનજી આવા બુધ્ધિવાન હતા. એકવાર સાંભળે અને યાદ રહી જાય.

સંધ્યા, ગાયત્રી, સત્કર્મ કરનાર બ્રાહ્મણ બાળક ગુરુકુલમાં આચાર્ય પાસે રહેતો. વિદ્યાધ્યયનમાં ગુરુ બોલે અને શિષ્ય સાંભળે. બીજા દિવસે શિષ્ય બોલે અને ગુરુ સાંભળે. આમ શિષ્ય વિદ્યાને કંઠસ્થ કરી લેતો. વેદને શ્રુતિ કહે છે. ગુરુ પાસે સાંભળી શિષ્ય બધું જ્ઞાન મસ્તકમાં રાખતો. ઋગવેદના અગિયાર હજાર મંત્રો બાહ્મણ મસ્તકમાં રાખતા. બુધ્ધિના માલિક દેવ સૂર્યદેવ છે.

પ્રાતઃકાલ, મધ્યાહ્ન અને સાયં આમ ત્રણ વાર બાહ્મણ સંધ્યા કરે છે. સંન્યાસી ચારવાર સંધ્યા કરે છે. ત્રિપદા ગાયત્રી જપ બ્રાહ્મણો કરે છે. ચતુસ્પદા ગાયત્રી સંન્યાસી જપે છે. સંધ્યા શ્રેષ્ઠ સત્કર્મ છે. બ્રાહ્મણો સંધ્યા નથી કરતા તેથી આજકાલ તેમની બુધ્ધિ બગડેલી છે.

સૂર્યોદય, મધ્યાહ્ન, સૂર્યાસ્ત અને મધ્યરાત્રિએ જે નારાયણની ઉપાસના કરે છે તેની બુધ્ધિ તેજસ્વી બને છે.

હનુમાન બળવાન અને બુધ્ધિમાન છે. ના પાડતા સમયાભાવવાળા સૂર્યને વિદ્યાધ્યયન કરાવવા મજબૂર કરે છે.

સૂર્યનારાયણ જાણી ગયા આ બહુ ચપળ છે. સૂર્યનારાયણે કહ્યું, ‘અધ્યયન અધ્યાપનમાં ગુરુ-શિષ્યનું આસન સમાન ન હોવું જોઈએ. તું રથમાં સાથે બેસીને વિદ્યા મેળવીશ તો વિદ્યા સફળ નહિ થાય.’

હનુમાનજીએ કહ્યું, ‘પોતે રથની આગળ ઊભો રહી વિદ્યા ગ્રહણ કરશે અને રથ ચાલશે તો તેની પાછળ પાછળ ચાલી વિદ્યા ગ્રહણ કરશે.’

સૂર્યનારાયણે હનુમાનજીને બધી વિદ્યા આપી. હનુમાનજીએ સૂર્યનારાયણને કહ્યું, ‘મારે દક્ષિણા આપવી છે.’

સુગ્રીવ સૂર્યપુત્ર છે. વાલી ઈન્દ્રપુત્ર છે. વાલી બળવાન છે. હનુમાન પોતાના પુત્રની સહાય કરે એટલે સૂર્યનારાયણે દક્ષિણામાં હનુમાનજી સુગ્રીવના મંત્રી બને એવું માંગ્યું.

હનુમાનજી બળ-બુધ્ધિમાં તેજસ્વી છે પણ તેમને એક સંતનો શાપ હતો, જયાં સુધી રામદર્શન નહિ થાય ત્યાં સુધી તારી શક્તિ ગુપ્ત રહેશે, પ્રગટ નહિ થાય.

વાલી સુગ્રીવને ત્રાસ આપે છે. હનુમાનજીને તો રામદર્શન થાય, શક્તિ પ્રગટ થાય તો મદદ કરી શકે તેમ છે. ઋષ્યમૂક પર્વત પર રામ-હનુમાનનું મિલન થાય છે. રામચંદ્રજી લક્ષ્મણને હનુમાનની મહત્તા વર્ણવે છે. ‘આની લંગોટી સુર્વણસમાન ચળકતી છે, આના વાણી-વર્તન શુધ્ધ છે, આ એક અક્ષર પણ વધુ બોલતો નથી.’

માવન શક્તિ વગર વધારે બોલે છે. શબ્દબ્રહ્મનું સ્વરૂપ છે. જે બોલવાની બહુ જરૂર છે તેટલું બોલો. અંજની માએ હનુમાનજીએ કહ્યું હતું કે, ‘તારી લંગોટી જે ઓળખશે તે તારો ગુરુ છે.’

શ્રી રામચંદ્રજીએ હનુમાનજીની લંગોટી ઓળખી છે. રામ-હનુમાનનું મિલન થયું. જેની લંગોટી શુધ્ધ તેને ભગવાન અપનાવે છે.

જે ભગવાન સાથે રમે છે, નામ સાથે રમે છે આનંદ સાથે રમે તે ભક્ત છે.

જેની લંગોટી બગડેલી છે તેની રામ મૈત્રી ન કરી શકે. હનુમાનજીની બધી લીલા દિવ્ય છે. હનુમાનજીની ઘણી લીલામાં શક્તિ કરતાં યુક્તિ વધુ હોય છે.

હનુમાનજી લંકાબાળીને રામચંદ્રજી પાસે આવે છે. લંકામાં હનુમાનજીએ સીતાજીને દુઃખી જોયાં હતા. આમ છતાં હનુમાનજીએ કહ્યું, ‘માતાજી વિપત્તિમાં નથી. સુખમાં છે.’

ભગવાનનું વિસ્મરણ તે વિપત્તિ, તે જ મરણ. માતાજી વિયોગમાં સતત રામનું સ્મરણ કરે છે. દિલમાં માતાજી રામનું સ્વરૂપ પધરાવી જપ કરે છે. માતાજી સુખી છે, આનંદમાં છે એમ હનુમાનજી યુક્તિથી કહે છે.

વ્યાસજીએ કહ્યું છે કે, ‘કેટલાક ધનન વગરનાને, કેટલાક ગુણ વગરનાને પાપી કહે છે પણ પાપી તે છે જે નારાયણનું સ્મરણ નથી કરતો.’

હનુમાનજી બુદ્ધિમાન, બળવાન, ગુણવાન છે. રામ રાજયાભિષેકનો અવસર છે. વિભિષણે રામને નવ કરોડની માળા અર્પણ કરી. આ માળા સુગ્રીવ, અંગદે પોતાને ભેટમાં મળે તેમ ઈચ્છયું. જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. માળા લેવાની ઈચ્છા છે.

શ્રી રામચંદ્રજીએ કિંમતી હાર સીતાજીને આપ્યો. શ્રી હનુમાનજી રામચરણમાં બેઠા છે.

સીતાજીએ વિચાર્યું કે હનુમાનજીએ બહુ સેવા કરી છે, આ માળા હનુમાનજીને અર્પણ કરવી. માએ હનુમાનજીના ગળામાં માળા પહેરાવી દીધી. સર્વમાં રામદર્શન કરનાર હનુમાજીએ માળા તોડી, એક એક મણકો તોડી નાખ્યો.

લોકો હનુમાનજીને માળા તોડતાં જોઈ બોલ્યા, ‘આખરે વાંદરો ખરો ને ! તોડવાનો – ફેંકવાનો સ્વભાવ તે માળા તોડી !’

હનુમાનજીએ આમ કેમ કર્યું એમ પૂછ્યું તે તેમણે કહ્યું, ‘મને બધામાં રામદર્શન થાય છે.’ ‘હનુમાનજીએ પોતાની છાતી ચીરીને તેમાં રામદર્શન કરાવ્યું. જે સીતારામ બહાર છે તે જ સીતારામ હનુમાનજીના હૃદયમાં છે.’

સીતામાતાએ હનુમાનજીની છાતી ચીરવાના કારણે લોહી વહ્યું ત્યાં સિંદૂર લગાવ્યું. આજે પણ મંગળવારે હનુમાનજીને જે સિંદૂર અર્પણ કરે છે તેનું કલ્યાણ થાય છે.

હનુમાનજી બળવાન છે. પ્રસંગ આવે હનુમાન અર્જુનના અભિમાનને દૂર કરે છે. અર્જુનના બાણને હનુમાન તોડી નાંખે છે.

ભક્તિ અતિશય વધે ત્યારે અભિમાન મરે છે. ભક્તિ અતિશય વધે છે ત્યારે હૃદય સરળ બને છે, રામપ્રેમમાં હૃદય પીગળે છે.

ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવે તે ભક્તિ. રામસેવા એ હનુમાનનું જીવન છે, રામનામ એ હનુમાનનું ભોજન છે. હનુમાનમાં શક્તિ એ રામનામની છે.

વર્તમાનમાં લોકો દવાની ગોળીઓથી શક્તિ વધારે છે. શક્તિ તો સંયમથી, રામનામથી આવે છે. હનુમાનજી સંયમની મૂર્તિ છે. શક્તિ વધે ત્યારે ‘કામ’ મારવા આવે છે. ‘કામ’ વધતાં મન ચંચળ થાય છે, ક્રોધ આવે છે. સાત્ત્વિક શક્તિ વધતાં ‘કામ’, ‘ક્રોધ’ નો વિનાશ થાય છે.

રામરાજયાભિષેક થઈ ગયો. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા રામસેવાનો વિચાર કરે છે. સીતા સમક્ષ ભાઈઓ રજુઆત કરે છે કે બધી સેવા હનુમાન કરી લે છે તો અમારે શું સેવા કરવી?

સેવામાં હનુમાનજી રામજીની શું ઈચ્છા છે તે સમજી જતા. ભક્ત અને ભગવાન અંદરથી એક હોય છે.

સીતા સમેત ભાઈઓ રામજીની સેવા હનુમાનજી પાસેથી લઈને પોતે વહેંચી લે છે.

રામચંદ્રજીને ચારે જણ હવે રામસેવા કરશે એમ જણાવી દે છે. હનુમાનજી માટે કોઈ સેવા રહેવા દીધી નહિ.

પ્રાતઃકાલમાં હનુમાન આવ્યા. રામચંદ્રજીને પાદુકા ધરવા જાય છે ત્યાં ભરત અટકાવે છે, એ સેવા પોતાના ભાગે આવી છે તેમ કહે છે.

થોડીવાર પછી રામ સ્નાન કરવા જાય છે ત્યારે હનુમાનજી પીતાંબર આપવા ઊઠે છે, માતાજી હનુમાનજીને અટકાવીને કહે છે તે સેવા મારી છે.

હનુમાનજી આમ સેવા વગરના રહે છે. બધા તેમને સેવા કરતાં અટકાવે છે. હનુમાનજી સેવા વગર જીવી ન શકે.

સીતા પાસે હનુમાનજી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માગે છે. પોતાને રામસેવા આપવા વિનવે છે. ‘કોઈ સેવા બાકી નથી રહી.’ એમ સીતામાતા જવાબ આપે છે.

ભક્તો સરળ હોય છે. ભક્તો દુરાગ્રહ કરતા નથી. હનુમાનજીએ બધું સાંભળી લીધું.

હનુમાનજીએ કહ્યું, ‘ભગવાનને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવા કોને આપી છે?’

માતાજીએ એ સેવા માટે હનુમાનજીને હા કહી. હનુમાનજીનો કોઈ અમુક કામ માટે આગ્રહ નથી. આગ્રહ છે માત્ર સેવા કરવાનો.

હનુમાનજીને ચટપી વગાડવાની સેવા મળી, તેનો સંતોષ છે.

હનુમાનજી રામચરણમાં નજર રાખે છે. તેમનો દાસ્યભાવ છે. આજ સુધી હનુમાનજીએ ચરણમાં દ્રષ્ટિ રાખી છે. બગાસું આવે તો ચપટી વગાડવાની સેવા મળી તો હવે રામમુખારવિંદ દર્શનની સેવા મળી.

મુખમાં બગાસું આવે એટલે હનુમાન સતત મુખ તરફ જ જોઈ રહે છે. બગાસું ક્યારે આવે તે કહેવાય નહિ એટલે હનુમાનજી બધો વખત રામજી પાસે રહે છે.

હનુમાનજી રામ પાસે હોય એટલે સીતાજીને રામ સાથે એકલા બેસવાનો, વાત કરવાનો મોકો નથી મળતો. સીતાજી રાત્રિના હનુમાનને જવા કહે છે. હનુમાનજી કહે છે નિદ્રામાં બગાસું આવે તો? હનુમાનજી રાત્રિના રામ પાસે જ રહેવા કહે છે.

સીતા રામને કહે છે, તમે હનુમાનને બહાર જવા કહો.

રામે સીતાને કહ્યું, ‘હનુમાનના મારા પર ઘણા ઉપકારો છે. હું તેને બહાર જવાનું ન કહી શકું.’

રામજી, હનુમાન આનંદમાં રહે તેમ ઈચ્છે છે. રામજીને હનુમાનના ઋણમાંથી મુક્ત થવું નથી. રામજી હનુમાનનો બધે જય જયકાર થાય તેમ ઈચ્છે છે. “મારા હનુમાન અમર થાય, તેના પર વિપત્તિ ન આવે, તે આનંદમાં રહે એમ હું ઈચ્છું છું.” “હું હનુમાનને આધીન છું.” સીતા હનુમાનને બહાર કાઢી દરવાજો બંધ કરે છે.

હનુમાનજીને પોતાનું જીવન વૃથા લાગે છે. સેવા અને સ્મરણ કરે તે વૈષ્ણવ. વેશથી નહિ, હૃદયથી જીવે, ભક્તિ કરે તે વૈષ્ણવ.

હનુમાનજી બહાર સીતારામનો જપ જપે છે. ચપટી વગાડતાં વગાડતાં કીર્તન કરે છે. રામજી પણ મનથી નકકી કરે છે, ‘હનુમાનજી જાગશે ત્યાં સુધી હું જાગીશ.’

રામજીએ લીલા કરી છે. રામજીને બહુ બગાસાં આવે છે.

સીતાજી રામને બેચેન જોઈ પૂછે છે, ‘આપને શું થાય છે?’

મોટા માણસો ન ગમે ત્યારે મૌન રહે છે. રામજીની આંખો ખુલ્લી છે, મોં ઉઘાડું છે. સીતાજી કૌશલ્યાજી પાસે જઈ વાત કરે છે. કૌશલ્યાજી આવીને રામને શું થાય છે એમ પૂછે છે. રામજીને નિદ્રા નથી આવતી. સેવકો વસિષ્ઠજી પાસે જાય છે.

વસિષ્ઠજીએ આવીને નિદ્રા ન આવવાનું કારણ પૂછ્યું?

વસિષ્ઠજી મહાજ્ઞાની છે. જાણે છે કે ભગવાનના ભક્તો દુઃખી હોય ત્યારે ભગવાનને નિદ્રા નથી આવતી.

સીતાજીએ વસિષ્ઠજીને હનુમાન સાથેના સેવા માટેના પ્રસંગની કથા કહી સંભળાવી. હનુમાનજીને સેવા નથી આપી તેથી રામ દુઃખી છે એમ કહે છે.

વસિષ્ઠજી આંખ બંધ કરી ધ્યાન ધરે છે. ધ્યાનમાં રાજમહેલ ના ટોડલે હનુમાનજી દેખાય છે. હનુમાનજી સીતારામ કીર્તન કરતા ચપટી વગાડતા દેખાય છે.

વસિષ્ઠજી રામભક્ત હનુમાનને વંદન કરે છે. ‘જગત રામના આધીન, રામ તમારા આધીન છે.’ વસિષ્ઠજી હનુમાનને મનાવીને લઈ આવે છે. હવે રામજીને રાહત થાય છે.

હનુમાન રામના દાસ છે. જીવભાવે રામના અંશ છે. ભક્ત અને ભગવાન ભક્તિમાં એક બને છે.

ભગવાન અતિ ઉદાર, અતિ સરલ છે. ભગવાનના નામનો નિત્ય જપ કરો તો કલ્યાણ થશે.

મિત્રો, આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે, તો આને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે. અમે તમારા માટે આવા સુંદર લેખ લાવતા રહીશું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top