આજની એકાદશીનું ફળ મેળવવા આ કથા જરૂર વાંચજો, ષટતિલા એકાદશી | Shattila Ekadashi Par Daan

મિત્રો, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આજે આ પવિત્ર એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે આ તિથિએ પૂજા અને વ્રત રાખવાથી ભક્તના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, દરેક વ્યક્તિએ ષટતિલા એકાદશીના દિવસે અન્નનું દાન કરવું જોઈએ, આનાથી સૃષ્ટિના સર્જનહાર પ્રસન્ન થાય છે.

આ એકાદશીની બીજી એક ખાસ વાત એ છે કે આ તિથિ પર તલનો પણ ખાસ ઉપયોગ થાય છે. જ્યોતિષીઓના મતે, આ એકાદશી પર તલનો ઉપયોગ છ રીતે કરવામાં આવે છે, જેમ કે તલ સ્નાન, તલનું ઉબટન લગાડવું, તલનો હવન, તલનું તર્પણ, તલનું દાન અને તલમાંથી બનાવેલ ભોજનનું સેવન. આમ કરવાથી વ્યક્તિના ભાગ્ય, સુખ અને કીર્તિમાં વધારો થાય છે. આજના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ યોગમાં, ભગવાન વિષ્ણુની પૂજા અને ષટતિલા એકાદશીની વ્રત કથાનું વાંચન અથવા શ્રવણ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે, તો ચાલો જાણીએ આજની એકાદશીની કથા.

ષટતિલા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની પૂજાને સમર્પિત છે, તેથી તેમની પૂજા દરમિયાન, તેનાથી સંબંધિત કથાનો પાઠ જરૂર કરવો જોઈએ, આમ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. ષટતિલા એકાદશીના વ્રતની કથા વિશે એવું કહેવામાં આવે છે કે, એક સમયે ઋષિ નારદે સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિષ્ણુને ષટતિલા એકાદશીના વ્રત વિશે પૂછ્યું.

નારદજીના પ્રશ્ન પછી, ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે – ઘણા સમય પહેલા મૃત્યુ લોક(પૃથ્વી લોક)માં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. તે હંમેશા વ્રત-ઉપવાસ કરતી હતી. એકવાર તેણીએ એક મહિના સુધી ઉપવાસ કર્યા, જેના કારણે તેનું શરીર ખૂબ જ નબળું પડી ગયું.

તે ખૂબ જ બુદ્ધિશાળી હતી, છતાં પણ તેણીએ ક્યારેય દેવતાઓ અને બ્રાહ્મણોના નિમિત્તમાં અન્નનું દાન કર્યું નહતું. મને લાગ્યું કે આ બ્રાહ્મણ સ્ત્રીએ ઉપવાસ વગેરે કરીને પોતાનું શરીર શુદ્ધ કર્યું છે અને તેણીને વૈકુંઠ લોક પણ પ્રાપ્ત થશે, પરંતુ તેણીએ ક્યારેય કોઈને અન્નનું દાન કર્યું નથી, અન્ન વિના જીવની તૃપ્તિ થવી મુશ્કેલ છે.

આવું વિચારીને, હું મૃત્યુ લોકમાં ગયો અને મારું સ્વરૂપ બદલીને તે બ્રાહ્મણ સ્ત્રી પાસે ભિક્ષા માંગી. તે બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું – હે યોગીરાજ! તમે અહીં કેમ આવ્યા છો? તો મેં કહ્યું – મારે ભિક્ષા જોઈએ છે. આના પર તેણીએ મને માટીનું પિંડ આપ્યું. હું તે પિંડ સાથે વૈકુંઠમાં પાછો ફર્યો. થોડા સમય પછી, તે બ્રાહ્મણ સ્ત્રી પોતાનો દેહ છોડીને વૈકુંઠમાં આવી. મને આપેલા માટીના પિંડને કારણે તેણીને તે જગ્યાએ એક આંબાના ઝાડ સહીત એક ઘર મળ્યું, પરંતુ તેણીને તે ઘરમાં બીજી વસ્તુઓ મળી નહીં.

તે ગભરાઈને મારી પાસે આવી અને કહ્યું – હે પ્રભુ! મેં ઘણા વ્રત-ઉપવાસ વગેરે કરીને તમારી પૂજા કરી છે, છતાં મારું ઘર ખાલી છે, આનું કારણ શું છે? મેં કહ્યું – તમે તમારા એ ઘરે જાઓ અને જ્યારે દૈવી સ્ત્રીઓ ત્યાં તમને મળવા આવે, ત્યારે તેમને ષટતિલા એકાદશીના વ્રતનું માહાત્મ્ય અને તેના નિયમો પૂછજો. અને જ્યાં સુધી તેઓ તમને તે ન કહે ત્યાં સુધી દરવાજો ખોલશો નહીં.

મારા આવા શબ્દો સાંભળીને, તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દૈવી સ્ત્રીઓએ આવીને દરવાજો ખોલવાનું કહ્યું, ત્યારે તે બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું – કૃપા કરીને મને ષટતિલા એકાદશીનું મહત્વ જણાવો. દૈવી સ્ત્રીએ ષટતિલા એકાદશીનું મહત્વ કહ્યું, અને અન્નદાનનો મહિમા કહ્યો. એ પછી બ્રાહ્મણ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. પછી તે બ્રાહ્મણ સ્ત્રીએ દૈવી સ્ત્રીઓની સલાહ મુજબ ષટતિલા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ ગયું.

મિત્રો, એવું કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરનાર જન્મો-જન્મ સુધી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે. તેમજ મૃત્યુ પછી તેમની આત્માએ પીડા સહન કરવી પડતી નથી.

આ કથાનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે તમે એ પણ સાંભળી શકો છો.

આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top