જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંધનો ચોથો અધ્યાય જાણવાના છીએ. જો તમારે આ પહેલાના અધ્યાયો વાંચવાના બાકી હોય તો તેના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે, અને આ લેખના અંતમાં પણ તેની લિંક આપવામાં આવી છે. ત્યાંથી તમે એ વાંચી શકો છો. આવો હવે પહેલા સ્કંધનો ચોથો અધ્યાય શરૂ કરીએ જેનું શીર્ષક છે – “મહર્ષિ વ્યાસનો અસંતોષ.”
વ્યાસજી કહે છે – તે દીર્ષકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી શૌનકજીએ સૂતજીની પૂર્વોક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને કહ્યું. (૧)
શૌનકજી બોલ્યા – હે સૂતજી! તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કથા ભગવાન શ્રીશુકદેવજીએ કહી હતી, ભગવાનની તે જ પુણ્યમયી કથા કૃપા કરીને તમે અમને સંભળાવો. (૨)
તે કથા કયા યુગમાં, કયા સ્થળે અને શા કારણે થઈ હતી? મુનિવર શ્રીકૃષ્ણદ્વૈપાયને કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું હતું? (૩) તેમના પુત્ર શુકદેવજી મોટા યોગી, સમદર્શી, ભેદભાવરહિત અને આત્મસ્વરૂપમાં જાગ્રત છે તથા નિરંતર એકમાત્ર પરમાત્મામાં જ તેમની દૃઢ સ્થિતિ છે. તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાને કારણે લોકોને મૂઢ જેવા લાગે છે. (૪) વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા ત્યારે જળ-સ્નાન કરતી સ્ત્રીઓએ નગ્ન શુકદેવને જોઈને તો વસ્ત્રો ન પહેર્યાં, પણ વસ્ત્રો પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્રો પહેર્યાં હતાં. આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે ‘તમારી દૃષ્ટિમાં તો હજી સ્ત્રી-પુરુષનો ભેદ છે, પણ તમારા પુત્રની શુદ્ધ દૃષ્ટિમાં એ ભેદ નથી.’ (૫)
કુરુજાંગલ દેશમાં પહોંચીને ગાંડા, ગૂંગા અને જડ જેવું વિચરણ કરતા શુકદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખ્યા? (૬) પાંડવનંદન રાજર્ષિ પરીક્ષિતનો આ મૌની શુકદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો કે જેમાં આ ભાગવતસંહિતાની કથા તેમણે કહી? (૭) મહાભાગ શ્રીશુકદેવજી તો ગૃહસ્થોનાં ઘરોને તીર્થસ્વરૂપ બનાવી દેવા માટે એટલી જ વાર તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વારમાં એક ગાય દોહવામાં આવે છે. (૮)
હે સૂતજી! અમે સાંભળ્યું છે કે અભિમન્યુસુત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા. તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મોનું પણ વર્ણન કરો. (૯) તેઓ તો પાંડવવંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા. તેઓ ભલા, શા કારણે સામ્રાજયલક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગા-તટે મૃત્યુપર્યન્ત અનશનનું વ્રત લઈને બેઠા હતા? (૧૦) શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણુંબધું ધન લાવીને તેમનાં ચરણો મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા. તે વીર પુરુષે યુવાન હોવા છતાં છોડવી આકરી એવી રાજલક્ષ્મીનો અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઈચ્છા કરી? (૧૧)
જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે, એમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું, તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? (૧૨) વેદવાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો. હે સૂતજી! તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે બધું કૃપા કરીને અમને કહી સંભળાવો. (૧૩)
સૂતજીએ કહ્યું – આ સાંપ્રત ચાર યુગો પૈકીના ત્રીજા, દ્વાપરયુગમાં મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો. (૧૪) એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા. (૧૫) મહર્ષિ વેદવ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્ત્વના જ્ઞાતા હતા, તેમની દ્રષ્ટિ અચૂક હતી. તેમણે જોયું કે જેને લોકો જાણવા પામતા નથી તે સમય-પલટાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મ સંકરતા આવે છે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિનો પણ હ્રાસ થાય છે; સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિવિહોણા થઈ જાય છે; તેમની બુદ્ધિ કર્તવ્યનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. લોકોનું આ દુર્ભાગ્ય જોઈને તે મુનીશ્વરે પોતાની દિવ્યદૃષ્ટિથી, સમસ્ત વર્ણો અને આશ્રમોનું હિત કેમ થાય એનો વિચાર કર્યો. (૧૬-૧૮)
તેમણે વિચાર્યું કે વેદોક્ત ચાતુર્હોત્ર કર્મ લોકોનાં હૃદય શુદ્ધ કરનારું છે. આ દૃષ્ટિએ યજ્ઞોનો વિસ્તાર કરવા માટે તેમણે એક જ વેદના ચાર વિભાગ કર્યા. (૧૯) વ્યાસજી વડે ઋક્, યજુ:, સામ અને અથર્વ આ ચાર વેદોનો ઉદ્ધાર (પૃથક્કરણ) થયો. ઈતિહાસ અને પુરાણો પાંચમો વેદ કહેવાય છે. (૨૦) એમાંથી ઋગ્વેદના પૈલ, સામગાનના વિદ્વાન જૈમિનિ અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશંપાયન થયા. (૨૧) અથર્વવેદમાં પ્રવીણ થયા દરુણનંદન સુમન્તુ મુનિ. ઈતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ હતા. (૨૨)
આ પૂર્વોક્ત ઋષિઓએ પોતપોતાની શાખાનું વળી વધુ ભાગોમાં વિભાગીકરણ કર્યું. આ રીતે શિષ્યો, પ્રશિષ્યો અને એમના શિષ્યો વડે વેદોની ઘણીબધી શાખાઓ બની. (૨૩) જે લોકોની સ્મરણશક્તિ ઓછી છે તેવા લોકો પણ વેદોના રહસ્યને સમજી શકે, તે માટે ભગવાન વેદવ્યાસે તેમના પર કૃપા કરીને વેદોનું આવું વિભાગીકરણ કર્યું. (૨૪)
સ્ત્રી, શુદ્ર, અને પતિત દ્વિજાતિ – ત્રણેય વેદ-શ્રવણના અધિકારી નથી. તેથી તેઓ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે. હવે આના વડે તેમનું પણ કલ્યાણ થાય – એમ વિચારીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત-ઈતિહાસની રચના કરી. (૨૫)
હે શૌનકાદિ ઋષિઓ! જોકે વ્યાસજી આ રીતે પોતાની પૂરી શક્તિથી સદાય જીવોના કલ્યાણમાં જ રત રહ્યા, છતાં પણ તેમના હૃદયમાં સંતોષ થયો નહીં. (૨૬) આ પ્રમાણે તેઓ કંઈક ખિન્ન મને સરસ્વતી નદીના પવિત્ર તટ પર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરતા આમ કહેવા લાગ્યા – (૨૭) ‘મેં નિષ્કટભાવે બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરતાં-કરતાં વેદો, ગુરુજનો અને અગ્નિઓનું સમ્માન કર્યું છે તથા તેમની આજ્ઞાઓનું પાલન કર્યું છે. (૨૮)
મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી સ્ત્રીઓ, શૂદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મ-કર્મનું જ્ઞાન મેળવી શકે છે. (૨૯) જોકે હું બ્રહ્મતેજથી સંપન્ન છું, સમર્થ છું તેમ છતાં મારા દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ નહીં થયો હોય એવું લાગે છે. (૩૦) અવશ્ય, મેં હજી સુધી ભગવત્પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી, કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે અને ભગવાનને પણ પ્રિય છે (લાગે છે કે – મારી અપૂર્ણતાનું આ જ કારણ છે).’ (૩૧)
શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસ જ્યારે આ રીતે પોતાને અપૂર્ણ માનીને ખિન્ન બન્યા હતા તે જ સમયે વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા. (૩૨) તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સમ્માનિત દેવર્ષિ નારદની વિધિપૂર્વક તેમણે પૂજા કરી. (૩૩)
મિત્રો, અહીં શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંધના ચોથા અધ્યાયની કથા પૂર્ણ થાય છે. એ પછીની કથા આપણે આગળના લેખોમાં જાણીશું. ત્યાં સુધી સર્વેને હેતભર્યા જય શ્રીકૃષ્ણ.
આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.
આ પણ વાંચો – ભગવાનના અવતારોનું વર્ણન શ્રીમદ્દભાગવતની કથા પ્રમાણે। Shrimad Bhagwat Katha Gujarati | Bhagwan Na Avatar
આ પણ વાંચો – ભગવાનનું દર્શન કોણ કરાવે છે? જાણો શ્રીમદ્દભાગવતની કથા દ્વારા, સ્કંધ 1 – અધ્યાય 2 । Shrimad Bhagwat Katha Gujarati
આ પણ વાંચો – શ્રીમદ્દભાગવતની કથા – પહેલો સ્કંધ – પહેલો અધ્યાય । Shrimad Bhagwat Katha In Gujarati | Skand 1