10 હજાર વર્ષ સુધી તપસ્યા કરો એટલું ફળ આ એક એકાદશીથી મળે છે, વાંચો વરૂથિની એકાદશીનો મહિમા

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે ચૈત્ર માસના કૃષ્ણપક્ષની એકાદશીનો મહિમા અને તેનું માહાત્મ્ય જાણીશું, તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી. અને લેખ વંચાઈ ગયા પછી તેને લાઈક અને શેર જરૂર કરજો. આવો હવે ચૈત્ર માસના કૃષ્ણપક્ષની એકાદશી વિશે જાણીએ.

યુધિષ્ઠિરે પૂછ્યું — વાસુદેવ! આપને નમસ્કાર છે. ચૈત્ર માસના કૃષ્ણપક્ષમાં કયા નામની એકાદશી હોય છે? તેનો મહિમા બતાવશો.

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજન્! ચૈત્ર કૃષ્ણપક્ષની એકાદશી ‘વરૂથિની’ના નામથી પ્રસિદ્ધ છે. એ આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે. ‘વરૂથિની’ના વ્રતથી જ સદા સુખનો લાભ અને પાપની હાનિ થાય છે. આ સમસ્ત લોકોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. ‘વરૂથિની’ના જ વ્રતથી માંધાતા તથા ધુન્ધુમાર વગેરે બીજા અનેક રાજા સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે. જે દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે, તેના જેવું જ ફળ ‘વરૂથિની’ના વ્રતથી પણ મનુષ્ય પ્રાપ્ત કરી લે છે.

નૃપશ્રેષ્ઠ! ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન તેનાથી પણ મોટું છે. ભૂમિદાનથી પણ વધારે મહત્ત્વ તલદાનનું છે. તલદાનથી વધીને સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધીને અન્નદાન છે, કેમ કે દેવતા, પિતૃ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાનના જ સમાન બતાવ્યું છે. કન્યાદાનના તુલ્ય જ ધેનુનું દાન છે – આ સાક્ષાત્ ભગવાનનું કથન છે.

ઉપર જણાવેલાં બધાં દાનોથી મોટું વિદ્યાદાન છે. મનુષ્ય વરૂથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ મેળવી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય થવાથી યાતનામય નરકમાં જાય છે. તેથી સર્વથા પ્રયત્ન કરીને કન્યાના ધનથી, બચવું જોઈએ — તેને પોતાના કામમાં નહિ લાવવું જોઈએ.

જે પોતાની શક્તિ મુજબ આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, તેના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરૂથિની એકાદશી કરીને પણ મનુષ્ય તેના સમાન ફળ પ્રાપ્ત કરે છે.

વ્રત કરનારો વૈષ્ણવ પુરુષ દશમી તિથિએ કાઁસ (એક જાતનું ઘાસ), અડદ, મસૂર, ચણા, કોદરી, શાકભાજી, મધ, બીજાનું અન્ન, બે વાર ભોજન તથા મૈથુન આ દસ વસ્તુઓનો પરિત્યાગ કરી દે. એકાદશીએ જુગાર રમવો, ઊંઘવું, પાન ખાવું, દાતણ કરવું, બીજાની નિંદા કરવી, ચુગલી કરવી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ તથા અસત્ય ભાષણ – આ અગિયાર બાબતોને છોડી દેવી.’

દ્વાદશીએ કાઁસ, અડદ, દારૂ, મધ, તેલ, પતિતો સાથે વાતચીત, વ્યાયામ, પરદેશ ગમન, બે વાર ભોજન, મૈથુન, બળદની પીઠ પર સવારી અને મસૂર આ બાર વસ્તુઓનો ત્યાગ કરવો.’ રાજન! આવી વિધિથી વરૂથિની એકાદશી કરવામાં આવે છે. રાત્રે જાગરણ કરીને જેઓ ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે, તેઓ બધાં પાપોથી મુક્ત થઈ પરમગતિને પ્રાપ્ત થાય છે. તેથી પાપભીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આવી એકાદશીનું વ્રત કરવું જોઈએ. યમરાજથી ડરનારો મનુષ્ય જરૂર ‘વરૂથિની’નું વ્રત કરે.

રાજન્! આના વાંચવા અને સાંભળવાથી સહસ્ર ગોદાનનું ફળ મળે છે અને મનુષ્ય બધાં પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે.

મિત્રો, અહીં વરુથિની એકાદશીનો મહિમા સમાપ્ત થાય છે. આપ સોને હેતભર્યા જય શ્રીકૃષ્ણ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top