અખાત્રીજ 29 તારીખે છે કે 30 તારીખે? અહીં જાણો તેની સાચી તારીખ, પૂજા વિધિ અને પૂજા મુહૂર્ત, Akhatrij 2025 Date and Time

અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનું હિન્દૂ ધર્મમાં ખુબ મહત્વ છે. અખાત્રીજ એટલે એ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે જેમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે, કારણ કે અખાત્રીજનો આખો દિવસ એક સ્વયં-ઘોષિત શુભ મુહૂર્ત છે. આ વખતે બધાને એ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે 2025 ની અખાત્રીજ 29 એપ્રિલે છે કે 30 એપ્રિલે? અને જણાવી દઈએ કે આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ કે આ વખતે અખાત્રીજ તિથિ બે દિવસે આવી રહી છે, 29 એપ્રિલ અને 30 એપ્રિલ.

આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે અખાત્રીજની સાચી તારીખ કઈ છે? અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ તિથિએ આવે છે. અને સૂર્યોદયની તિથિ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કે અખાત્રીજ 2025 ક્યારે છે? અખાત્રીજની ચોક્કસ તારીખ કઈ છે? અખાત્રીજ પર આપણે કોની પૂજા કરીએ છીએ? અને અખાત્રીજના 4 શુભ મુહૂર્ત કયા છે?

દ્રિક પંચાંગ અનુસાર, અખાત્રીજ એટલે કે વૈશાખ સુદ ત્રીજ તિથિ 29 એપ્રિલે સાંજે 5 વાગીને 31 મિનિટથી શરૂ થશે અને 30 એપ્રિલના રોજ બપોરે 2 વાગીને 12 મિનિટ સુધી ચાલશે. તેમજ કાશી પંચાંગ અનુસાર, ત્રીજ તિથિ 29 એપ્રિલે શરૂ થાય છે અને 30 એપ્રિલે સાંજે 5 વાગીને 50 મિનિટે સમાપ્ત થાય છે. જો આપણે આ બંને પંચાંગને આધાર તરીકે ગણીએ, તો સૂર્યોદય સમયે વૈશાખ સુદ ત્રીજ તિથિ 30 એપ્રિલના રોજ છે. આવી સ્થિતિમાં, 2025 ની અખાત્રીજ 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે, આ તેની ઉત્તમ તારીખ છે.

આવો હવે અખાત્રીજ 2025 ના શુભ મુહૂર્ત જાણી લઈએ.

અખાત્રીજ પર પૂજા માટે સૌથી શુભ સમય સવારે 6 વાગીને 7 મિનિટથી બપોરે 12 વાગીને 37 મિનિટ સુધીનો રહેશે.

મિત્રો, ભલે અખાત્રીજ પર આખો દિવસ શુભ મુહૂર્ત હોય, પરંતુ આ દિવસે 4 સ્થિર લગ્ન મુહૂર્ત એવા છે જેમાં જો તમે કોઈ શુભ કાર્ય કરશો તો તે તમારા માટે ફળદાયી અને સફળ રહેશે.

1. વૃષભ લગ્ન : સવારે 4 વાગ્યાથી 6 વાગીને 19 મિનિટ સુધી

2. સિંહ લગ્ન : સવારે 10 વાગીને 51 મિનિટથી બપોરે 1 વાગીને 5 મિનિટ સુધી

3. વૃશ્ચિક લગ્ન : સાંજે 5 વાગીને 34 મિનિટથી 7 વાગીને 51 મિનિટ સુધી

4. કુંભ લગ્ન : રાત્રે 11 વાગીને 44 મિનિટથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી

હવે એ જાણીએ કે અખાત્રીજ પર કોની પૂજા કરવામાં આવે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અખાત્રીજ(અક્ષય તૃતીયા)ના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો તમે નદીમાં સ્નાન ન કરી શકો તો પાણીમાં ગંગાજળ ઉમેરીને ઘરે સ્નાન કરવું. ત્યારબાદ ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી. આમ કરવાથી સ્થિર લક્ષ્મી મળે છે. સંપત્તિ, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

આવો હવે એ જાણીએ કે અક્ષય તૃતીયા પર શું દાન કરવું?

તો મિત્રો, અખાત્રીજ પર પૂજા કર્યા પછી, તમારે ચણાનું સત્તુ, પાણી ભરેલું વાસણ, મોસમી ફળો, છત્રી, પંખો, ગાય વગેરેનું દાન કરવું જોઈએ.

2025 ની અખાત્રીજ મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા અને ધનુ રાશિના લોકો માટે શુભ રહેશે. આ રાશિના લોકોએ અખાત્રીજના દિવસે પીળા કપડાં, હળદર, ચણાની દાળ, પીળી સરસવ, સોનું, ડાંગર, પાણી, પીળા અને સફેદ રત્નો વગેરેનું દાન કરવું જોઈએ. તેનાથી તમને લક્ષ્મી અને વિષ્ણુના આશીર્વાદ મળશે.

આવો હવે અખાત્રીજની પૂજા વિધિ જાણી લઈએ.

અક્ષય તૃતીયા પર સવારે વહેલા ઉઠી સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરો અને પૂજાની તૈયારી કરો.

ત્યારબાદ હાથમાં પાણી, ચોખા અને ફૂલો લઈ અખાત્રીજની પૂજા કરવાનો સંકલ્પ લો.

પછી પૂજા માટે, ભગવાન લક્ષ્મી નારાયણનું ધ્યાન કરો અને તેમનું આહ્વાન કરો.

ત્યારબાદ ભગવાન શ્રી હરિ અને દેવી લક્ષ્મીનો પંચામૃતથી અભિષેક કરો.

એ પછી ભગવાન લક્ષ્મી નારાયણને ગંગાજળથી સ્નાન કરાવો.

ભગવાન શ્રી હરિ અને દેવી લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરો અને તેમનો શ્રુંગાર કરો.

ભગવાન શ્રી હરિને પીળા ચંદનનું તિલક અને દેવી લક્ષ્મીને કંકુનું તિલક લગાવો.

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તેમના મનપસંદ ફૂલો અર્પણ કરો.

ત્યારબાદ ધૂપ અને દીવો પ્રગટાવો.

ભગવાનને તુલસીના પાન સાથે સત્તુ, ખીર, મીઠાઈઓ અને મોસમી ફળોનો ભોગ લગાવો.

આ મંત્રોનો જાપ કરો :

“ૐ નમો ભગવતે વાસુદેવાય”

“ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમો નમઃ”

ત્યારબાદ આરતી કરો અને પૂજામાં થયેલી ભૂલ-ચૂક બદલ માફી માંગીને પછી પ્રસાદનું વિતરણ કરો.

હવે એ જાણીએ કે અખાત્રીજ પર લોકો સોનું શા માટે ખરીદે છે?

જણાવી દઈએ કે સોનાને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અને અખાત્રીજ પર જો તમે સોનું ખરીદો છો તો તેનો અર્થ એ છે કે તમે દેવી લક્ષ્મીને સોનાના રૂપમાં ઘરે લાવી રહ્યા છો. આ રીતે ઘરમાં દેવી લક્ષ્મીના આગમન સાથે, તમારા આખા પરિવારની પ્રગતિ થશે. તેમજ ભવિષ્ય પુરાણ અનુસાર અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.

મિત્રો, દરેક વ્યક્તિ એટલી ધનવાન નથી હોતી કે તે સોનું ખરીદી શકે. એવામાં બીજી એવી વસ્તુઓ પણ છે જે સસ્તી છે અને તેને સામાન્ય વ્યક્તિ અખાત્રીજ પર ખરીદીને ઘરમાં લક્ષ્મી માતાનું આગમન કરાવી શકે છે. એ વસ્તુઓ વિષે આપણે આગામી વિડીયોમાં જાણીશું.

ડિસ્ક્લેમર : આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.

આ લેખને લાઈક અને શેર જરૂર કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top