દત્તાત્રેય ભગવાનના ગુરુવારના વ્રતની આ વાર્તા વાંચવાથી મળશે મોક્ષ । Dattatreya Bhagwan Guruvar Vrat Katha

શ્રી દત્તાત્રેય વ્રત અને ગુરુવારની વાર્તા

ગુરુ દત્તાત્રેય અથવા શ્રી દત્ત ભગવાનનું વ્રત કોઈ પણ ગુરુવારથી સૌ કોઈ ભાવિક ભક્ત કરી શકે છે. ગુરુવાર એ દત્ત ભગવાનનો વાર ગણાય છે. ત્રણ, પાંચ, સાત, ચૌદ અથવા એકવીસ ગુરુવારનું વ્રત અખંડિતપણે એટલે કે લાગલગાટ કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે, વ્રતકર્તાનું શ્રેય થાય છે.

વ્રત દરમિયાન ઉપવાસ, એકટાણું, ફળાહાર – આ ત્રણમાંથી શક્તિ અનુસાર કરી શકાય છે. પીળા રંગનો આહાર લઈ શકાય છે. નૈવેદ્યમાં કેસરના પેંડા ધરાવી શકાય. વ્રતકર્તાએ ભૂખ્યા પેટે ગુરુવારની વાર્તાનું શ્રવણ અથવા પઠન કરવું. ભગવાન દત્તાત્રેયનું ધ્યાન ધરી સ્તવન કરવું.

ગુરુવારની વાર્તા

પ્રાચીન સમયમાં ‘આયુ’ નામે એક રાજા થઈ ગયો. તે રાજા ‘ગૌબ્રાહ્મણ પ્રતિપાલ’ અને અતિ પરાક્રમી હતો. રાજા-રાણી નિ:સંતાન હતા. રાણીનું નામ હતું ઈન્દુમતી. આ દંપતિએ દાન-ધર્માદો કરવામાં પાછું વળીને જોયું ન હતું. ઈન્દુમતીએ પણ બાધા-આખડી, માનતા, દોરા-ધાગા અને વ્રત કરવામાં બાકી રાખ્યું ન હતું. વંશવેલો કોણ આગળ ધપાવશે તેની ચિંતા રાજા-રાણીને કોરી ખાતી હતી.

પોતાને ત્યાં પારણું બંધાય તેથી તેમણે શૌનક મુનિને પૂછ્યું કે, હે મુનિવર્ય! કયું વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય તે અમને દર્શાવો. મુનિવર્યે ગુરુ દત્તાત્રેયનું વ્રત વિધિસર કરવા અનુરોધ કર્યો. આ વ્રત શ્રધ્ધાપૂર્વક કરવાથી તમારી આ શુભ મનોકામના જરૂર પરિપૂર્ણ થશે.

શૌનક મુનિએ રાજાને કહ્યું કે, ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરવા સહ્યાદ્રી પર્વત પર માહુરગઢ મુકામે આશ્રમમાં જઈને ભગવાન દત્તની સેવા કરજો. રાજાને આશીર્વાદ આપી મુનિવર્ય વિદાય થયા.

આયુ રાજા આશ્રમમાં સેવા અર્થે જવાનો હતો તેથી પ્રધાનને રાજય કારભાર સુપ્રત કરી માહુરગઢ આવી પહોંચ્યો. ભગવાન દત્ત તો ત્રિકાળજ્ઞાની હતા. રાજાના આગમનનું કારણ તેઓ જાણતા હતા. દત્ત ભગવાને માયાવી લીલા રચીને અનેક પ્રકારે રાજાની કસોટી કરી, પણ આયુ રાજા ચલિત થયો નહિ, તેની ભક્તિ સાચી હતી.

રાજાએ આશ્રમમાં રહીને ગુરુ દત્તાત્રેયની નિષ્ઠાપૂર્વક સેવા કરી. ભગવાન દત્તે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. રાજાએ પુત્રપ્રાપ્તિ માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન દત્તે પ્રસાદ આપ્યો અને તે પ્રસાદ રાણીને ખવડાવવા કહ્યું. આ પ્રસાદ ખાવાથી રાણી એક પ્રતિભાશાળી પુત્રને જન્મ આપશે. આ પરાક્રમી પુત્ર દૈત્યોનો સંહાર કરવા શક્તિમાન હશે.

રાણીએ ભગવાન દત્તની આજ્ઞા મુજબ વિધિપૂર્વક સત્યદત્ત દેવનું વ્રત કર્યું, પ્રસાદ આરોગ્યો અને સમય જતાં તેને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો.

એ અરસામાં ‘હુંડ’ નામના રાક્ષસથી દેવો અને માનવો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. તેણે શિવકન્યાને મેળવવા ખૂબ જ પ્રયત્નો કર્યા પણ કારી ફાવી નહિ. આ શિવકન્યાએ ક્રોધાવેશમાં કહ્યું હતું કે, આયુરાજાનો પુત્ર તારો સંહાર કરશે. સતીના શાપથી તે આકુળ-વ્યાકુળ બની ગયો. પોતાની માયાવી શક્તિથી તે રાજમહેલમાં પહોંચી ગયો. નવજાત શિશુને મારી નાખવા તે કટિબધ્ધ થયો હતો, જેથી કરીને પોતે મૃત્યુના મુખમાંથી ઉગરી જાય.

હુંડ રાક્ષસ પરકાયા પ્રવેશનો મંત્ર જાણતો હતો. તે સૂતેલા કુમારને ઉપાડી કાંચનનગરમાં પોતાને મહેલે આવી પહોંચ્યો.

વહેલી સવારે જોયું તો કુંવર મળે નહિ. રાજાએ સૈનિકોને ચારેય દિશામાં મોકલ્યા પણ પત્તો લાગ્યો નહિ. રાજા-રાણીએ ભગવાન દત્તની સ્તુતિ કરી. એ જ વખતે દેવર્ષિ નારદે રાજમહેલમાં આવીને રાજા-રાણીને કહ્યું કે, હુંડ નામનો રાક્ષસ તમારા પુત્રને મારી નાખવાના આશયથી ઉઠાવી ગયો છે, પરંતુ ભગવાન દત્તની કૃપાથી તમારો પુત્ર જીવિત છે અને તે વશિષ્ઠ મુનિના આશ્રમમાં છે.

તમારો પુત્ર હુંડાસુર રાક્ષસનો સંહાર કરીને એક સ્વરૂપવાન કન્યા સાથે લગ્ન કરીને તમારી પાસે આવશે. ભગવાન દત્તની એના પર અસીમ કૃપા છે. તેથી તેને કંઈ આંચ આવશે નહિ. રાજયના વારસદાર તરીકે તમારું રાજય એ સુંદર રીતે ચલાવશે. માટે ચિંતા કરશો નહિ. નારદજી રાજાને આ પ્રકારે આશ્વાસન આપી વિદાય થયા.

હુંડ રાક્ષસે પોતાની પત્નીને કુંવર સોંપ્યો, અને કહ્યું કે તેને મારીને એના માંસનું ભોજન તૈયાર રાખજે. રાણીએ રસોયાણીને બાળક સોંપી તેનું કાસળ કાઢી નાખવા કહ્યું અને તેના માંસનું ભોજન તૈયાર રાખવા આજ્ઞા કરી.

રસોયણબાઈ તલવાર ઉગામી પ્રહાર કરવા જાય છે ત્યાં કુંવરની આસપાસ ભગવાનનું ચક્ર ફરતું જોયું. આ ચમત્કાર નિહાળી કુંવરને કપડામાં લપેટી વશિષ્ઠ ઋષિના આશ્રમના પ્રાંગણમાં મૂકી આવી. અને હરણનું માંસ રાંધીને પ્રેમપૂર્વક હુંડાસુરને ભોજન કરાવ્યું. હુંડાસુરને હવે હૈયે ધરપત થઈ ગઈ કે પોતાનો વધ કરનાર હવે આ દુનિયામાં રહ્યો નથી.

વશિષ્ઠ ઋષિએ યોગબળથી કુંવરનું ભવિષ્ય જાણી લીધું. અરુંધતીએ આ અનાથ બાળકનો સર્વાંગી વિકાસ કર્યો. તેનું નામકરણ નહુષ રાખવામાં આવ્યું. યોગ્ય ઉંમરે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો.

નહુષ શિકાર કરવા ગયો હતો ત્યાં તેણે આકાશવાણી સાંભળી : ‘હે નહુષ! તું ઋષિપુત્ર નથી. વશિષ્ઠમુનિ તો તારા પાલક પિતા છે. તારા સાચા માતા-પિતા તો રાણી ઈન્દુમતી અને આયુરાજા છે. તેઓ તારી રાહ જોઈને દિવસો પસાર કરી રહ્યાં છે. માતા-પિતાને મળ્યા પહેલાં તારે હુંડ રાક્ષસનો વધ કરી મહેલમાં બંદીવાન બનાવેલ અશોકસુંદરીને મુક્ત કરી તેની સાથે લગ્નગ્રંથિથી જોડાવાનું છે. ભગવાન દત્ત તારી સાથે છે.

ગુરુવર્ય વશિષ્ઠને નહુષે જંગલમાં પોતે આકાશવાણી સાંભળી હતી તે વાત કહી સંભળાવી. ગુરુદેવના આશીર્વાદ લઈ ગુરુ દત્તાત્રેયનું સ્મરણ કરી હુંડ રાક્ષસનો વધ કરવા નીકળી પડયો.

દેવાધિદેવ ઈન્દ્રે પોતાનો રથ અને આયુધો અર્પણ કર્યાં. હુંડાસુરને જાણ કરવામાં આવી કે આયુરાજાનો પુત્ર નહુષ સૈન્ય સાથે યુધ્ધ કરવા આવી રહ્યો છે.

ગુરુ દત્તાત્રેયની સહાયથી નહુષે હુંડને મોતને ઘાટ ઉતારી દીધો અને અશોસુંદરીને મુક્ત કરી ગુરુ વશિષ્ઠના આશ્રમમાં બંને આવી પહોંચ્યા. મુનિવર્યે વિધિપૂર્વક બંનેના લગ્ન કરી આપ્યા.

નહુષ અને તેની પત્ની અશોકસુંદરી આયુ રાજાના મહેલે આવી પહોંચ્યા. નહુષે સઘળી હકીક્ત માતા-પિતાને કહી સંભળાવી. ભગવાન દત્તના પ્રભાવથી પુત્રવધૂ સાથે પુત્રનું સુખદ મિલન માતા-પિતાને થયું. રાજાએ નહુષનો રાજયાભિષેક કર્યો અને પોતે શેષ જીવન ગુરુ દત્તાત્રેયની ભક્તિમાં પસાર કર્યું. ભગવાન દત્તાત્રેયની કૃપાથી રાજારાણીનું જીવન સાર્થક થયું અને બંને મોક્ષગતિને પામ્યા. નહુષ પણ ભગવાન દત્તની કૃપાથી સુખરૂપ રાજય ચલાવી આત્યંતિક કલ્યાણને પામ્યો.

મિત્રો, અહીં ગુરુવારની વ્રતકથા પૂર્ણ થાય છે. ગુરુવારની આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરનાર વ્રતકર્તા સુખ-શાંતિ પ્રાપ્ત કરે છે અને અંતકાળે મોક્ષગતિને પામે છે.

આ લેખને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top